રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે દેશમાં 5 ટકાના દરે જીડીપીના ગ્રોથ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એમણે કહ્યું કે આ આંકડા ધારણાથી ઘણા ઓછા છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં શક્તિકાંત દાસે સ્વીકાર કર્યું કે ભારત આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે.
શક્તિકાંત દાસે કહ્યું- RBIએ 5.8 ટકા ગ્રોથની કરી હતી ભવિષ્યવાણી
ગવર્નરે કહ્યું કે, તેઓ જીડીપીના નાના આંકડાની કરશે સમીક્ષા
શક્તિકાંત દાસે સાઉદી અરબની તેલ કંપની પર થયેલા હુમલા પર વ્યક્ત કરી ચિંતા
એમણે કહ્યું કે, સરકારની સૌથી મોટી પ્રાથમિકતા વિકાસની ગતિને પાછી ટ્રેક પર લાવવાની છે. ઇન્ટરવ્યૂ દરમિયાન શક્તિકાંત દાસે કહ્યું કે, ''અમે (RBI) 5.8 ટકાના ગ્રોથની ભવિષ્યવાણી કરી હતી. કોઇએ પણ 5.5 ટકા કે તેથી ઓછા જીડીપી દરની ભવિષ્યવાણી નહોતી કરી. આ આંકડા ખુબ જ ચોંકાવનારા, અને ખૂબ જ ખરાબ છે.''
નાણાકીય વર્ષ 2020ના ફર્સ્ટ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 5 ટકા નોંધવામાં આવ્યો છે. આ ગત 6 વર્ષોમાં વિકાસમાં સૌથી ધીમો વધારો છે. આરબીઆઇના ગવર્નરે કહ્યું કે તે ખૂબ જ નાના આંકડાનું ઝીણવટ પૂર્વક નિશ્લેષણ કરી રહ્યા છે.
આ સાથે જ બેન્કના પ્રમુખે ઇન્ટરવ્યૂમાં સાઉદી અરબની તેલ કંપની પર થયેલા હુમલા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. એમણે કહ્યું કે સાઉદી અરબની તેલ કંપની પર હુમલા બાદ જો તેલની કિંમતોમાં વધારો ચાલુ રહે છે તો નાણાકીય ખાધ વધી શકે છે. એમણે કહ્યું કે, આપણે અંતિમ પરિદ્દશ્યને સમજવા માટે વધુ થોડાક દિવસો સુધી નજર બનાવી રાખવી પડશે.