કોરોના વાયરસ સંકટનો સામનો કરવા માટે અર્થવ્યવસ્થાને લગતી કેટલીક રાહતો આપવામાં આવી છે જે મુદ્દે RBI ગવર્નરનું માનવું છે કે આ રાહતો અત્યારે પાછી લેવામાં આવશે તે ન માનવું જોઈએ અને અમારા તીર હજુ ખતમ નથી થયા.
હજુ પણ સસ્તી થઇ શકે છે EMI, RBIએ આપ્યા સંકેત
RBI ગવર્નરે કહ્યું હજુ અમારા 'તીર' ખતમ નથી થયા
જે કંઈ પણ રાહત અને નીતિગત પગલાં લેવાયા તે અત્યારે પાછા લેવાશે નહીં
ભારતીય રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં આગળ પણ વધુ રાહત આપવાના સંકેત આપ્યા છે. ગુરુવારે કહેવામાં આવ્યું કે કોરોના વાયરસ મહામારીથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે કરવામાં આવેલ ઉપાયોને અત્યારે હટાવવામાં આવશે નહીં. RBIનાં ગવર્નર શક્તિકાંત દાસે એક કાર્યક્રમમાં કહ્યું કે વ્યાજદરમાં કપાત હોય કે પછી અન્ય નીતિગત પગલાંઓ, અમારા 'તીર; હજુ સમાપ્ત થયા નથી.
નોંધનીય છે કે છ ઓગસ્ટે નીતિગત સમીક્ષામાં રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં કોઈ ફેરબદલ કરવામાં આવ્યા ન હતા. આ પહેલા બેઠકોમાં નીતિગત વ્યાજદરમાં 1.15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં રેપોરેટ ચાર ટકા જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે જ્યારે MCF 4.25 ટકા છે.
RBI દ્વારા આપવામાં આવેલ બધી રાહતો પર દાસે કહ્યું કે એવું ક્યારેય ન માનવું જોઈએ કે RBI દ્વારા કરવામાં આવેલ ઉપાયોને જલ્દી હટાવી દેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે મહામારીમાં અર્થવ્યવસ્થાને મજબૂતીથી પાટે ચડાવવા માટે સાવધાની સાથે આગળ વધવું પડશે.
દેશમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ પર તેમણે કહ્યું કે બેન્કિંગ ક્ષેત્ર સતત મજબૂત અને સ્થિર છે અને સાર્વજનિક બેંકના એકીકરણનું કામ સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. દાસે કહ્યું કે બેંકોનું આકાર જરૂરી છે પરંતુ કાર્યદક્ષતા તેનાથી વધારે મહત્વપૂર્ણ છે.
તેમણે કહ્યું કે બેંક તણાવનો સામનો કરવો પડશે તે સામાન્ય વાત છે પરંતુ તેનાથી વધારે મહત્વપૂર્ણ છે કે બેંક આ બધી સમસ્યાઓ સામે કેવી પ્રતિક્રિયા આપે છે તેનો સામનો કેવી રીતે કરે છે.