RBI એ ગણાવી ક્રિપ્ટોકરન્સીને ખતરનાખ, આવનાર ભવિષ્યમાં નાણાકીય પ્રણાલીની સ્થિરતા સામે પડકારો ઉભા થશે. આના લીધે દેશમાં 'ડોલરીકરણ' થઇ શકે છે
ક્રિપ્ટોકરન્સીથી દેશમાં 'ડોલરીકરણ' થઇ શકે છે
ટેરર ફાઇનાન્સિંગ, મની લોન્ડરિંગ અને ડ્રગમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ
દેશમાં ક્રિપ્ટોમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા 1.5 કરોડથી 2 કરોડ
નાણાકીય પ્રણાલી પડી શકે છે નબળી
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના મુખ્ય અધિકારીઓએ સંસદીય પેનલને જણાવ્યું છે કે ક્રિપ્ટોકરન્સીથી અર્થતંત્રના એવા હિસ્સાનું 'ડોલરીકરણ' થઇ શકે છે જે ભારતના મૂળભૂત હિતોની વિરુદ્ધ હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ સહિતના ટોચના અધિકારીઓએ પૂર્વ મંત્રી જયંત સિંહાના માર્ગદર્શન હેઠળની નાણાં અંગેની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી. તેમણે ક્રિપ્ટોકરન્સી વિશેની આશંકાઓ જણાવી હતી અને કહ્યું હતું કે આનાથી નાણાકીય પ્રણાલીની સ્થિરતા સામે પડકારો ઉભા થશે. સમિતિના એક સભ્યના જણાવ્યા અનુસાર, આરબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આનાથી કેન્દ્રીય બેંકની નાણાકીય નીતિ નક્કી કરવાની અને દેશની નાણાકીય પ્રણાલીને નિયંત્રિત કરવાની ક્ષમતાને ગંભીર રીતે નુકસાન થઇ શકે છે.
આતંકી પ્રવૃત્તિઓમાં વપરાવાનો ભય
તેમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સી વિનિમયનું માધ્યમ બનવાની સંભાવના ધરાવે છે અને સ્થાનિક સ્તરે અને સરહદો પાર નાણાકીય વ્યવહારોમાં રૂપિયાનું સ્થાન લઈ શકે છે. કેન્દ્રીય બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ચલણ નાણાકીય પ્રણાલીના ભાગ પર કબજો કરી શકે છે અને સિસ્ટમમાં ભંડોળના પ્રવાહને નિયંત્રિત કરવાની આરબીઆઈની ક્ષમતાને પણ નબળી પાડી શકે છે. રિઝર્વ બેંકના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ ટેરર ફાઇનાન્સિંગ, મની લોન્ડરિંગ અને ડ્રગની તસ્કરીમાં પણ થઈ શકે છે અને એટલું જ નહીં, તે દેશની નાણાકીય વ્યવસ્થાની સ્થિરતા માટે પણ મોટો ખતરો ઉભો કરી શકે છે. તેમણે સંસદીય સમિતિને કહ્યું, "લગભગ તમામ ક્રિપ્ટોકરન્સી ડોલર પર આધારિત છે અને વિદેશી ખાનગી સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં શક્ય છે કે તે આપણા અર્થતંત્રના કેટલાક હિસ્સાને ડોલરાઇઝેશન તરફ દોરી જાય જે દેશના સર્વભૌમ હિતોની વિરુદ્ધ હશે.
ભારતીય બેન્કિંગ સિસ્ટમ પર અસર
આરબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીની બેન્કિંગ સિસ્ટમ પર પણ નકારાત્મક અસર પડશે. લોકો તેમની મહેનતની કમાણી ક્રીપ્ટો માં મૂકી શકે છે, પરિણામે બેન્કોને લોન આપવા માટે ફંડિંગનો અભાવ થઈ શકે છે. આ વર્ષના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્રિપ્ટોકરન્સીના ટર્નઓવર અને તેની સાથે જોડાયેલી સંપત્તિઓ પર 30 ટકા ટેક્સની જાહેરાત કરી હતી. એક અંદાજ મુજબ દેશમાં ક્રિપ્ટોમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા 1.5 કરોડથી 2 કરોડની વચ્ચે છે જેમની પાસે લગભગ 5.34 અબજ ડોલરની ક્રિપ્ટોકરન્સી છે. ભારતના ક્રિપ્ટો માર્કેટના કદ વિશે કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી. સંસદીય સમિતિ નાણાં નિયમનકારો સાથે આ વિશે વધુ ચર્ચાઓ કરી રહી છે.