કોરોના વાયરસને કારણે ઇકોનોમીને મળી રહેલા મોટા ઝટકાને જોતા ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજ દરોમાં ભારે ઘટાડો કર્યો છે અને બેન્કિંગ સેક્ટરને રાહત આપી છે. બેન્કો અને NBFCને તમામ પ્રકારની ટર્મ લોન NPAમાં ન બદલવા ત્રણ મહિના માટે રાહત આપી છે. ત્યારે આશા રખાઇ રહી છે કે બેન્કો તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે.
કોરોના વાયરસને પગલે લોન મામલે રિઝર્વ બેન્કે આપી મોટી રાહત
બેન્કો અને NBFCની લોન ત્રણ મહીના માટે NPA નહીં થાય
રિઝર્વ બેન્કે શું કહ્યું
રિઝર્વ બૅંકે EMI ભરી રહેલા લોકોને 3 મહિના સુધીની રાહત આપવાની બૅકોને સલાહ આપી છે. મહત્વનું છે કે RBIએ આદેશ નહીં માત્ર સલાહ આપી છે. જેનો અર્થ એ થાય છે કે હવે બૅંકોએ નક્કી કરવાનું છે કે તેઓ આ મામલે છૂટ આપશે કે નહીં. સરળ ભાષામાં સમજીએ તો બૅંકો નક્કી કરશે કે તેમને સામાન્ય લોકોને EMI પર છૂટ આપવી કે નહીં.
આ સાથે જ બૅંકો એ પણ નક્કી કરશે કે તેઓ કઈ લોન પર EMIની છૂટ આપશે. મતલબ કે રિટેલ, કમર્શિયલ કે અન્ય પ્રકારની લોનધારકો માટે હજુ સુધી એક કન્ફ્યૂઝન બની રહ્યું છે.
કોને થશે ફાયદો
આ છૂટનો ફાયદો નાના વેપારીઓ, હોમ લોન અથવા ઑટો લોન લેનાર અથવા મોટા વેપારીઓને થઇ શકે છે. કોરોના વાયરસના પ્રકોપને કારણે આ રાહત આપવામાં આવી છે. રિઝર્વ બેન્કે કહ્યું કે ત્રણ મહીના સુધી લોન ન ચૂકવનાર લોનધારકની ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ નહીં થાય.
પહેલા ત્રણ હપ્તા ન ભરો તો લોન ડિફોલ્ટ ગણાતી
નિયમ પ્રમાણે જો કોઈ લોનના હપ્તા અથવા તો EMI સતત ત્રણ મહિના સુધી ચુકવતા નથી તો તે લોનને બેડ લોનની કેટેગરીમાં શામેલ કરવામાં આવે છે અને લોન લેનાર વ્યક્તિ કે કંપનીને ડિફોલ્ટર જાહેર કરવામાં આવતા હતા.
શું છે ટર્મ લોન
બૅંકિંગ જગતમાં ટર્મ લોન એવી લોનને કહેવાય છે જેની ચૂકવણી માટે બેંક એક નિશ્ચિત રકમના હપ્તા બાંધી આપી છે. સરળ ભાષામાં આપણે EMI કહીએ છીએ. જેથી હવે આ જાહેરાતનો લાભ હોમ લોન, કાર કે અન્ય મોટર વ્હીકલ લોન, પર્સનલ લોન, મશીનરી લોન લેનારા ઉદ્યોગપતિઓ સહિત તમામને મળશે.
EMI ટળ્યો છે, માફ નથી થયો
રિઝર્વ બૅંકની ઘોષણા બાદ કેટલાંક લોકો એવું માની રહ્યાં છે કે તેમણે ત્રણ મહિના સુધી લોનનો હપ્ત નહીં ભરવો પડે. ચૂકવણીમાંથી મુક્તિ મળી ગઈ છે. જો કે વાત એવી નથી. રિઝર્વ બૅંકે માત્ર ત્રણ મહિના સુધી EMIની ચૂકવણી ટાળી છે.
ક્રેડિટ કાર્ડના ગ્રાહકોને હાલ રાહત નહીં
સ્ટેટ બેંકના વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યુ કે ક્રેડિટ કાર્ડનું બિલ એ ટર્મ લોન નથી પરંતુ તમારી ખરીદીનું બિલ છે. જે આ રિઝર્વ બૅંકની જાહેરાતમાં શામેલ નથી. જો કોઈ ક્રેડિટ કાર્ડથી મોટી ખરીદી કરે છે અને EMIમાં કન્વર્ટ કરે છે તો તેના પર લાગુ કરી શકાય ચે પરંતુ તેના સંબંધિત ઓથોરિટીએ એક ક્લેરિફિકેશન જાહેર કરવું પડશે
શું કહે છે જાણકાર
નિષ્ણાતોના મતે બેન્કોને રાહત આપવામાં આવી છે, પરંતુ જોવાનું એ રહેશે કે હવે તેનો ફાયદો ગ્રાહકોને કેવી રીતે મળે છે. હોમ લોન, ઓટો લોન વગેરેમાં કેવી રીતે ઇએમઆઇને ટાળવાની સુવિધા બેન્ક આપે છે એ જોવાનું રહેશે. એવું પણ બની શકે કે કોઇ મામલામાં છૂટ આપે, જ્યારે કોઇ મામલે ન પણ આપે.
જેમની પાસે પૈસા છે તે EMI ન ટાળે
એક્સપર્ટ્સનું કહેવું છે કે EMI ટાળવાની સુવિધા એમના માટે જ હશે જે પોતાનો વેપાર ન ચાલવા અથવા અન્ય કોઇ કારણે લોન ચૂકવવામાં સક્ષમ નથી. જે લોકોને વેતન મળી રહ્યું છે અથવા જેમને પૈસાની તંગી નથી તેઓ પોતાની ઇએમઆઇ ચૂકવણી ટાળવાથી બચવું જોઇએ, કેમકે આગળ જતા તેના માટે જ બોજ વધી જશે.
બેન્કોને થશે ફાયદો
રિઝર્વ બેન્કે રેપો રેટને 75 બેસિસ પોઇન્ટ ઘટાડીને 4.4 ટકા કરી દીધો. જે બાદ એક્સિસ બેન્ક અને એસબીઆઇના શૅરમાં ઉછાળ આવ્યો. રિઝર્વ બેન્કે ટર્મ લોન પર બેન્કોને રાહત આપતા તેઓને સલાહ આપી છે કે તે પોતાના ગ્રાહકોને 3 મહીના સુધી ઇએમઆઇ પર રાહત આપે. જોકે, આરબીઆઇએ માત્ર સલાહ આપી છે, હવે બોલ બેન્કોના હાથમાં છે.
આરબીઆઇ (RBI) એ કેશ રિઝર્વ રેશિયોમાં 100 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતા 3 ટકા કરી દીધો છે. જે એક વર્ષ સુધી રહેશે. આરબીઆઇ મુજબ તમામ કોમર્શિયલ બેન્કોને વ્યાજ અને લોન ચૂકવવામાં 3 મહીનાની છૂટ અપાઇ રહી છે, હવે આ નિર્ણયથી 3.74 લાખ કરોડ રૂપિયાની રોકડ સિસ્ટમમાં આવશે.