Cryptocurrency દેશમાં કાયદેસર છે કે નહીં એ પ્રશ્ન ચાલી રહ્યો છે એવામાં RBI ના ડેપ્યુટી ગવર્નરે કહ્યું હતું કે તે કોઈ પોન્ઝી સ્કીમ કરતાં પણ ખરાબ છે અને દેશ માટે ખતરો બની શકે છે.
ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની દલીલ
RBI ડેપ્યુટી ગવર્નર ટી શંકરે કરી નિંદા
કહ્યું દેશના નાણાકીય સાર્વભૌમત્વને જોખમમાં મૂકે છે.
RBI ડેપ્યુટી ગવર્નરનું મોટું નિવેદન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે સોમવારે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની દલીલ કરતાં કહ્યું હતું કે તે પોન્ઝી સ્કીમ્સ કરતાં પણ ખરાબ છે અને દેશના નાણાકીય સાર્વભૌમત્વને જોખમમાં મૂકે છે.
RBI ડેપ્યુટી ગવર્નર ટી શંકરે જણાવ્યું હતું કે ક્રિપ્ટો-ટેક્નોલોજી સરકારી નિયંત્રણથી દૂર રહેવાની અને બચી નીકળવાની ફિલસૂફી પર આધારિત છે, તે નિયમનકારી નાણાકીય વ્યવસ્થાને બાયપાસ કરવા માટે ખાસ વિકસાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી મોનેટરી સિસ્ટમ, મોનેટરી ઓથોરિટી, બેંક સિસ્ટમ અને સામાન્ય રીતે સરકારની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવાની ક્ષમતાને નષ્ટ કરી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે "આ તમામ પરિબળોને જોતાં, એવા નિષ્કર્ષ પર આવી શકે છે કે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવો એ કદાચ ભારત માટે સૌથી યોગ્ય વિકલ્પ છે," શંકરે ઇન્ડિયન બેંક્સ એસોસિએશનની 17મી વાર્ષિક બેંક ટેક્નોલોજી કોન્ફરન્સ અને એવોર્ડ સમારોહને સંબોધિત કરતી વખતે આવું જણાવ્યું હતું.
'ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું ભવિષ્ય નક્કી નથી'
હજુ ગયા અઠવાડિયે જ નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડે પણ ક્રિપ્ટોકરન્સી પર ટિપ્પણી કરી હતી. શનિવારે, તેમણે કહ્યું કે દેશમાં કાર્યરત ખાનગી ક્રિપ્ટોકરન્સી કાયદેસર નથી અને ભવિષ્યમાં તેની કાનૂની સ્થિતિ વિશે કશું કહી શકાય નહીં. કરાડે ઈન્દોરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “ભારતમાં રિઝર્વ બેંક કે સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સીની કોઈ માન્યતા નથી. દેશમાં હાલમાં ક્રિપ્ટોકરન્સી કાયદેસર નથી.
નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે તેઓ અત્યારે કહી શકતા નથી કે ભવિષ્યમાં ખાનગી ક્રિપ્ટોકરન્સીને કાયદેસર કરવામાં આવશે કે કેમ. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારના ટોચના સ્તરે ચર્ચા કર્યા પછી જ આ સંદર્ભમાં કંઈક કહી શકાય.