રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોન સંબંધિત નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. આ ફેરફારના પગલે ત્રણ સેક્ટરને ફાયદો થશે. સુધારેલા નિયમો અનુસાર એનડીએફસી કંપનીઓની કૃષિ ક્ષેત્ર માટે લોનમર્યાદા પ્રતિ લોન લેનાર રૂપિયા ૧૦ લાખની રહેશે, જ્યારે સૂક્ષ્મ અને લઘુ સાહસોની બાબતમાં આ મર્યાદા રૂ. ૨૦ લાખની હશે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે રજિસ્ટર્ડ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા (મ્યુચ્યુઅલ ફંડને છોડીને) કૃષિ, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ તથા આવાસ ક્ષેત્રને નિર્ધારિત દાયરામાં આપવામાં આવતી લોનને પ્રાથમિક ક્ષેત્રની લોન તરીકે માનવામાં આવશે.
રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે આ ક્ષેત્રના લોન લેનારાઓ માટે લોન પરત કરવામાં ઝડપ લાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. સુધારેલા નિયમો અનુસાર એનડીએફસી કંપનીઓની કૃષિ ક્ષેત્ર માટે લોનમર્યાદા પ્રતિ લોન લેનાર રૂપિયા ૧૦ લાખની રહેશે, જ્યારે સૂક્ષ્મ અને લઘુ સાહસોની બાબતમાં આ મર્યાદા રૂ. ૨૦ લાખની હશે. આવાસ ક્ષેત્ર માટે મર્યાદાને રૂ.૧૦ લાખથી વધારીને રૂ. ૨૦ લાખ કરાઇ છે. આ લોનને પ્રાયોરિટી સેક્ટરની લોન માનવામાં આવશે. બીજી બાજુ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને રેગ્યુલેટરી હેતુ માટે એનબીએફસીની એક કેટેગરી તરીકે માનવામાં આવશે અને આમ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ સીધી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની દેખરેખ હેઠળ આવી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને પોતાના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે નેશનલ હાઉસિંગ બેન્ક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના નિયામક તરીકે કામ કરશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા જારી નોટિફિકેશન બાદ રિઝર્વ બેન્કે આ આદેશ કર્યો છે. આમ, હવે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ એનબીએફસીના એક ભાગ તરીકે માનવામાં આવશે અને આરબીઆઇ હેઠળ સીધી કામ કરશે. રિઝર્વ બેન્કે એક યાદીમાં જણાવ્યું છે કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે વર્તમાન રેગ્યુલેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરવામાં આવશે.