ઝીરો બેલેન્સ એકાઉન્ટમાં પણ હવેથી બચતખાતા જેવી સુવિધા મળશે. સુવિધાઓ મળ્યા બાદ પણ એવા અકાઉન્ટ્નું સ્ટેટસ ચેન્જ થશે નહીં. ઝીરો બેલેન્સ ખાતાધારકોને પણ ચેકબુક અને બાકી પેડ સુવિધાઓ મળશે. મહિનામાાં ચાર વખત ફ્રી માં એટીએમથી રૂપિયા તેઓ નિકાળી શકશે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઝીરો બેલેન્સ એકાઉન્ટ સાથે સંકળાયેલા કેટલાક નિયમોમાં છૂટછાટ આપી છે. હવે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખાતાધારકોને ચેકબુક અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ સુવિધાઓ માટે બેન્ક ખાતાધારકોને લઘુતમ બેલેન્સ રાખવા માટે ફરજ પાડી શકશે નહીં.
અગાઉ ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર વધારાની સુવિધા આપવાથી આ પ્રકારના એકાઉન્ટ્સ રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટ્સ બની જતાં હતાં અને ત્યાર બાદ આવાં ખાતાંમાં લઘુતમ બેલેન્સ રાખવું ફરજિયાત બની જતું હતું અને તેના પર રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટને લગતા અન્ય ચાર્જ પણ લાગુ પડતા હતા.
આરબીઆઇએ બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ (બીએસબીડી) એકાઉન્ટના નિયમોમાં છૂટછાટ આપી છે. આ પ્રકારના એકાઉન્ટ્સને નો ફ્રિલ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે. નાણાકીય સમાવેશનના ભાગરૂપે આરબીઆઇએ બેન્કોને જણાવ્યું હતું કે બીએસબીડીને એવા પ્રકારની કેટલીક લઘુતમ સુવિધાઓ આપવામાં આવે, જેવી સુવિધાઓ સેવિંગ્સ એકાઉન્ટમાં આપવામાં આવે છે.
આરબીઆઇએ પોતાના નિર્દેશમાં જણાવ્યું છે કે બેન્ક અગાઉ દર્શાવવામાં આવેલ ન્યૂનતમ સુવિધાઓ બાદ વધારાની મૂલ્યવર્ધિત સુવિધાઓ આપવા માટે પણ સ્વતંત્ર છે. આ સુવિધાઓમાં ચેકબુક જારી કરવાની સુવિધાનો પણ સમાવેશ થાય છે અને તેના માટે કોઇ ચાર્જ વસૂલી શકાય નહીં કે તેમાં કોઇ ભેદભાવ રાખી શકાય નહીં.
આ પ્રકારની સુવિધાઓ આપવાથી આ એકાઉન્ટ્સ નોન બીસીબીડી એકાઉન્ટ્સમાં ફેરવાઇ જશે નહીં અને તેથી લઘુતમ બેલેન્સ જેવી શરતો લાદી શકાશે નહીં. આ સુવિધાઓમાં એટીએમથી એક મહિનામાં ચાર વાર ઉપાડ, બેન્ક શાખામાં ડિપોઝિટ અને એટીએમકાર્ડનો સમાવેશ થાય છે.