ભારતીય રિઝર્વ બેંકે બીજી એક બેંક સામે કડક કાર્યવાહી કરી છે. હવે આરબીઆઈ કોઈપણ પ્રકારની શંકા થવા પર તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, પીએમસી બેંક પર પ્રતિબંધ બાદ તાજેતરમાં જ આરબીઆઈએ કર્ણાટકની શ્રી ગુરુ રાઘવેન્દ્ર સહકારી બેંક પર પ્રતિબંધ લાદ્યો હતો. હવે આરબીઆઈએ કોલકાતા સ્થિત કોલિકાતા મહિલા સહકારી બેંક લિમિટેડને સકંજામાં લીધી છે. કેન્દ્રીય બેંકે તેના પર 6 મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે. આ બેંકના ગ્રાહકો 10 જાન્યુઆરી 2020થી 9 જુલાઈ, 2020 સુધીના 6 મહિનામાં ફક્ત 1000 રૂપિયા જ ઉપાડી શકશે.
આરબીઆઈએ અન્ય એક બેંક સામે કરી કડક કાર્યવાહી
કોઈપણ પ્રકારની શંકા થવા પર તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે આરબીઆઈ
આ બેંક પર 6 મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે
નવી ડિપોઝિટ અથવા કોઈ પેમેન્ટ કરવા પર પ્રતિબંધ
ફાઇનાન્સિયલ એક્સપ્રેસ અનુસાર, આરબીઆઈએ, પોતાની સત્તાનો ઉપયોગ કરીને કોલિકાતા મહિલા સહકારી બેંક લિમિટેડ, કોલકાતા, પશ્ચિમ બંગાળને ગયા વર્ષે 9 જુલાઈ 2019 ના રોજ પોતાનો બિઝનેસ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આરબીઆઈએ અગાઉ સહકારી બેંકને લોન આપવા અથવા રિન્યૂ કરવા, કોઈપણ પ્રકારનું રોકાણ કરવા, કોઈપણ જવાબદારી ઉઠાવવા, આરબીઆઈની લેખિત મંજૂરી વિના નવી ડિપોઝિટ અથવા કોઈ પેમેન્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશ 9 જાન્યુઆરી, 2020 સુધી માન્ય હતો. આરબીઆઈએ આ આદેશને વધુ 6 મહિના માટે વધાર્યો છે, જે હવે 9 જુલાઈ 2020 સુધી માન્ય રહેશે. કેન્દ્રીય બેંકે સહકારી બેંકને કહ્યું છે કે, બેંક પરિસરમાં આરબીઆઈના આદેશની કોપી લગાવવી જરૂરી છે, જેથી ગ્રાહકોનું ધ્યાન જળવાઈ રહે.
બેંકનું લાયસન્સ રદ કરાયું નથી
આરબીઆઈએ પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે, બેંકનું લાયસન્સ રદ નથી કર્યું માત્ર પ્રતિબંધ મૂક્યો છે. જ્યાં સુધી તેની આર્થિક સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી પ્રતિબંધ સાથે બેંક તેના બેન્કિંગ વ્યવસાયને ચાલુ રાખશે. આરબીઆઈ સમયાંતરે પરિસ્થિતિઓના આધારે તેની સૂચના બદલી શકે છે.
આરબીઆઈની મંજૂરી વિના બેંક આ કામ કરી શકશે નહીં
તાજેતરમાં આરબીઆઈએ બેંગ્લોરમાં શ્રી ગુરુ રાઘવેન્દ્ર સહકારી બેંક પર પણ ઘણાં પ્રતિબંધ લાદ્યા હતા. આ બેંકના ગ્રાહકો માત્ર 35 હજાર રૂપિયા ખાતામાંથી કાઢી શકશે, આ બેંક આગામી 6 મહિના સુધી આરબીઆઈની મંજૂરી વિના કોઈ જ નવી લોન પણ આપી નહીં શકે. સાથે જ બેંક કોઈ રોકાણ પણ કરી શકશે નહીં.