દેશના રાજકારણમાં વધુ એક મહત્વની બેઠક એટલે ઉત્તરપ્રદેશની રાયબરેલી. આ બેઠક એટલે કોંગ્રેસનો અભેદ કિલ્લો. ગાંધી પરિવારની પરંપરાગત આ બેઠક પર ફરી એકવાર સોનિયા ગાંધી મેદાનમાં ઉતરવાના છે. ત્યારે શું છે આ બેઠક રાજકીય ગણિત. જોઈએ આ અહેવાલમાં.
કોંગ્રેસ પાર્ટીએ થોડા સમય પહેલા જ પોતાની પ્રથમ યાદીમાં 2019 લોકસભા ચૂંટણીને લઈ 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં ઉત્તર પ્રદેશના 11 અને ગુજરાતના 4 લોકસભા ઉમેદવારોના નામ સામેલ હતા. કોંગ્રેસની પ્રથમ યાદીમાં UPA ચેરપર્સન સોનિયા ગાંધી પોતાની પરંપરાગત સીટ પરથી રાયબરેલી સીટથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના વર્તમાન સંસદીય ક્ષેત્ર અમેઠીથી જ ચૂંટણીના મેદાને ઉતરશે તેની જાહેરાત કરવામાં આવી હતી. પહેલા એવા અનુમાન લગાવાઈ રહ્યા હતા કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનાં જનરલ સેક્રેટરી અને સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી રાયબરેલી સીટ પરથી મેદાને ઉતરી શકે છે, પરંતુ કોંગ્રેસને જાહેર કરેલી પ્રથમ યાદીથી આ અનુમાન પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું અને કોંગ્રેસનો ગઢ રાયબરેલીથી ફરી એકવાર સોનિયા ગાંધી જ મેદાનમાં ઉતરશે.
કોંગ્રેસ અભેદ કિલ્લો કહેવાતી આ લોકસભા બેઠક પર સોનિયા ગાંધી હાલ સાંસદ છે. સોનિયા ગાંધી વર્ષ 1999થી સતત આ બેઠક પર ચૂંટાઈ આવે છે. વર્ષ 1952માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક ગાંધી પરિવારની સાથે કોંગ્રેસનો ગઢ રહી છે. આ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પણ રાયબરેલીથી ચૂંટણી લડતા હતા. ઈન્દિરા ગાંધી આ બેઠક પર વર્ષ 1967 અને વર્ષ 1971માં ચૂંટાઈને આવ્યા હતા. 1952થી અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો 16 વખત વિજય થયો છે. જ્યારે ભાજપનો બે વખત અને જનતા પાર્ટીનો એક વખત વિજય થયો છે. કોંગ્રેસના અભેદ કિલ્લામાં છેદ પાડવાનું કામ વર્ષ 1996માં ભાજપના અશોકસિંહે કર્યું હતું. અશોકસિંહ 1996થી 1998 અને વર્ષ 1998થી 1999 એમ બે વખત સતત ચૂંટાઈને દિલ્લી પહોંચ્યા હતા, પરંતુ ત્યારબાદ 1999માં ફરી કોંગ્રેસે સત્તા મેળવી લીધી અને કોંગ્રેસના સતિષ શર્મા વિજેતા બન્યા હતા. સતિષ શર્મા 1999થી 2004 સુધી સાંસદ રહ્યા હતા અને ત્યારબાદ 2004માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ આ બેઠકથી ઝંપલાવ્યું હતું અને આજદીન સુધી સોનિયા અહીંથી ચૂંટાઈને દિલ્લી પહોંચે છે.
વાત ગત 2014ની લોકસભા ચૂંટણની કરવામાં આવે તો 2014માં સમગ્ર દેશમાં મોદીની સુનામી આવી હતી. જેમાં દરેક પાર્ટી તણાઈ ગઈ હતી. આ દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પણ તેમાંથી બાકાત રહી નહતી. 2014માં કોંગ્રેસને સમગ્ર દેશમાંથી માત્ર 44 બેઠકો મળી હતી. જ્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠક આવી હતી અને આ બેઠકમાં એક હતી રાયબરેલી અને બીજી હતી અમેઠી, રાયબરેલીથી સોનિયા અને અમેઠીથી રાહુલ ગાંધી જ માત્ર જીતી શક્યા હતા. મોદીની સુનામી કોંગ્રેસના આ અભેદ કિલ્લા સમાન રાયબરેલીને તોડી શકી ન હતી. 2014માં કોંગ્રેસના સોનિયા ગાંધીને કુલ 5 લાખ 26 હજાર 434 મત મળ્યા હતા. જ્યારે ભાજપના અજય અગ્રવાલને 1 લાખ 73 હજાર 721 મત મળ્યા હતા. જો ટકાવારીની રીતે જોઈએ તો સોનિયા ગાંધીને 63.80 ટકા, ભાજપના અજય અગ્રવાલને 21.5 ટકા મત મળ્યા હતા. સોનિયા ગાંધી રાયબરેલીથી વિજેતા જરૂર બન્યા હતા, પરંતુ વર્ષ 2009ની સરખામણીએ તેમને 2014માં 8.43 ટકા મત ઓછા મળ્યા હતા.
રાયબરેલીની જનતાને આશા હતી કે આ વખતે તેમના વિસ્તારમાંથી ગાંધી પરિવારનો કોઈ અન્ય સભ્ય આવશે, પરંતુ ફરી સોનિયા ગાંધીએ જ ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસી કાર્યકરોમાં ખુશી છે. જો કે સ્થાનિક પ્રજામાં ક્યાંક વિરોધનો વંટોળ પણ છે. રાયબરેલીની જનતા સામાન્ય અને મધ્યમમાંથી આવે છે. અહીં રોજગારી અને અનેક સ્થાનિક મુદ્દા છે. તેમ છતાં જનતાએ ગાંધી પરિવારને ખોબલે ખોબલે મત આપ્યા છે, પરંતુ આ વખતે જે રીતે ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધામા અવાર નવાર રાયબરેલીમાં જોવા મળે છે. તેના કારણે 2019માં રાયબરેલીનું રણ રસાકસી ભર્યું રહે તો નવાઈ નહીં. જોવું રહ્યું કે, રાયબરેલીથી સોનિયા ગાંધી ફરી સંસદ ભવન પહોંચે છે કે, પછી 10 જનપથ.