રાજધાની દિલ્હીમાં હિંસા બંધ થઈ ગઈ છે, પરંતુ આ મુદ્દા પર રાજકીય નિવેનદનબાજી હજી ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીએ હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા મોદી સરકારના 'રાજધર્મ' ઉપર કરવામાં આવેલા હુમલાનો વળતો જવાબ આપ્યો છે.
દિલ્હી હિંસા મુદ્દે કોંગ્રેસ ભાજપ આમને સામને
સોનિયા ગાંધીના નિવેદન ઉપર રવિશંકરનો વળતો પ્રહાર
રાજધર્મના અરીસામાં પોતાને ઓળખે કોંગ્રેસ: ભાજપ
શુક્રવારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ રાજધર્મના નામે લોકોને ભડકાવવા જોઇએ નહીં. ભાજપ નેતાએ આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધીએ રામલીલા મેદાનમાં ભડકાઉ નિવેદનો આપ્યા છે.
ભૂતકાળમાં કોંગ્રેસે પણ આ બાબતને ટેકો આપ્યો હતો
ગુરુવારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષા પાસે ગયા હતા અને રાજધર્મ વિશે વાત કરી હતી. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી લઘુમતીઓ માટે પક્ષનું એક સ્ટેન્ડ છે. ત્યારે અશોક ગેહલોત અને શિવરાજ પાટીલે પણ તેમના સમયમાં આ માંગ કરી હતી.
રવિશંકર પ્રસાદે સોનિયા ગાંધીના નિવેદનને ટાંક્યું હતું કે તેમણે રામલીલા મેદાનમાં ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. રવિશંકરે જણાવ્યું હતું કે કોંગ્રેસની પોતાની સરકારે 2010માં NPRનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જો કોંગ્રેસ કરે તો એ બરાબર પરંતુ જો ભાજપ કરે તો કોંગ્રેસ લોકોને ઉશ્કેરવાનું શરૂ કરી દે છે તેવા આક્ષેપ તેમણે લગાવ્યા હતા.
શાહીન બાગ માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બાળકોને ત્યાં વડા પ્રધાન વિરુદ્ધ બોલવાની ઉશ્કેરણી કરવામાં આવી રહી છે પરંતુ સોનિયા ગાંધી આ મુદ્દે ચૂપ રહે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીએ અમને રાજધર્મ શીખવવો જોઈએ નહીં. કોંગ્રેસનો ઇતિહાસ વોટબેંકના રાજકારણની આસપાસ ફરે છે.
ભાજપ નથી કરતી ભડકાઉ ભાષણોને સમર્થન: રવિશંકરનો દાવો
ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરેલા ભડકાઉ નિવેદનો પર રવિશંકર પ્રસાદે જવાબ આપ્યો હતો કે ભાજપ તેનું ખંડન કરે છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પહેલેથી જ કહી ચૂક્યા છે કે અમે આવી ભાષાને ટેકો આપતા નથી. આ સમય શાંતિ રાખવાનો છે, નફરત ફેલાવવાનો નહીં.
આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસેન અંગે રવિશંકર પ્રસાદે કહ્યું કે તેની સામે FIR નોંધાઈ છે. IB અધિકારીના મૃત્યુના કેસમાં તે આરોપી છે. કપિલ મિશ્રા અને તાહિર હુસેનનાં કેસોની તુલના કરી શકાય તેમ નથી.