કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે બુધવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે રાહુલ ગાંધી પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. લોકડાઉન અંગે આપેલુ નિવેદન ખોટું છે. વિશ્વના ટોચના 15 દેશોની કુલ વસ્તી 142 કરોડ છે. ભારતની વસ્તી 137 કરોડ છે. આ 15 દેશોમાં 3 લાખ 43 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ આપણા દેશમાં ફક્ત 4 હજાર લોકોના જ મોત થયા છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધી ફક્ત જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. આ સમયે કોરોનાની રસી નથી. તેથી લોકડાઉન એ એક સમાધાન છે. રાહુલ ગાંધી દેશની એકતા તોડનારાઓને અભિનંદન આપી રહ્યા છે. જે સંપૂર્ણ રીતે ખોટું છે. જ્યારથી કોરોનાની કપરી પરિસ્થિતિ આવી છે ત્યારથી રાહુલ ગાંધી આ લડતમાં દેશના સંકલ્પને નબળા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી ચૂંટણીમાં નીરવ મોદી વિશે વાત કરી રહ્યા હતા. પરંતુ તેમના સાથીદારો લંડનમાં નીરવ મોદીની મદદ કરી રહ્યા છે. રવિશંકરે કહ્યું કે ભિલવાડા મોડેલનો શ્રેય રાહુલ ગાંધીને આપવામાં આવ્યો. પરંતુ ત્યાંના સરપંચનું કહેવું છે કે આ કામ ત્યાંના લોકોનું છે.
કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો કે રાહુલે દાવો કર્યો છે કે આરોગ્ય મંત્રાલય દ્વારા વાયનાડના મોડેલની પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ વાયનાડને આરોગ્ય મંત્રાલયે હોટસ્પોટ જાહેર કરી ચુક્યું છે.