IPL ની સફળ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનો સુપર ખેલાડી રવિન્દ્ર જાડેજા આવનાર સમયમાં ટીમનો સાથ છોડી શકે છે, તેઓ ઘણા સમયથી ફ્રેન્ચાઈઝીના સંપર્કમાં નથી.
જાડેજાએ IPL ટીમ CSK થી બનાવ્યું અંતર
આવનાર સમયમાં ટીમમાંથી દુર થઇ શકે છે
ઘણા સમયથી ફ્રેન્ચાઈઝીના સંપર્કમાં નથી
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સફળ ટીમમાં ચેન્નઈ સુપર કિંગ્સ પણ આવે છે, ત્યારે આજકાલ ટીમમાં બધું બરાબર ન ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગયા IPL માં ધોનીએ શરૂઆતમાં ટીમની કમાન છોડી દીધી હતી. ત્યારબાદ ફરીથી તેમને કમાન સોપવામાં આવી હતી ત્યારે આજકાલ માનવામાં આવી રહ્યું છે કે, ટીમના મહત્વના ખેલાડી રવિન્દ્ર જાડેજા ચેન્નાઈની ટીમનો સાથ છોડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિન્દ્ર જાડેજા છેલ્લા પાંચ મહિનાથી ફ્રેન્ચાઇઝીના સંપર્કમાં નથી અને આગામી કેટલાક મહિનામાં તે ટીમ છોડી શકે છે. આની પાછળનું મોટું કારણ એ છે કે જાડેજાએ પોતાની ફ્રેન્ચાઈઝીથી અંતર બનાવી લીધું છે અને તેઓનો સંપર્ક થઈ રહ્યો નથી.
ટીમ સાથે નારાઝ છે જાડેજા
રવિન્દ્ર જાડેજા નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યો છે અને તેણે ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીથી અંતર બનાવી લીધું છે. તેઓ પણ ટીમના કોઈપણ અભિયાનમાં ભાગ લઈ રહ્યા નથી. તેથી એવું લાગે છે કે ટૂંક સમયમાં બંનેના જુદા જુદા રસ્તા હોઈ શકે છે. ક્રિકેટ પ્રેમીઓને યાદ હશે કે, આઇપીએલની વચ્ચે ટીમ મેનેજમેન્ટ વચ્ચે અણબનાવ થયો હોવાના સમાચાર ફરતા થયા હતા અને જાડેજાએ કેપ્ટન્સી છોડી દીધી હતી. બાકીની મેચોમાં મહેન્દ્રસિંહ ધોનીને ફરી કમાન સોંપવામાં આવી હતી. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા ટીમથી નારાજ છે અને તે જલ્દી જ ટીમમાંથી પોતાની વિદાયની જાહેરાત પણ કરી શકે છે.
ટીમને લગતી પોસ્ટ બધી દુર કરી
બીજું એ પણ કારણ માનવામાં આવી રહ્યું છે કે રવિન્દ્ર જાડેજાએ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલી તમામ પોસ્ટને સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી છે જે કદાચ આવનાર ભવિષ્યનો સંકેત આપે છે. મે મહિનામાં તેણે મુંબઈમાં જ ટીમ છોડી દીધી હતી. ત્યાર બાદ તેઓ ફ્રેન્ચાઈઝીના સંપર્કમાં નથી. ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જન્મદિવસનો વીડિયો બનાવવામાં આવ્યો ત્યારે માત્ર રવિન્દ્ર જાડેજા જ એકમાત્ર એવો ખેલાડી હતો જે વીડિયોમાં દેખાયો નહતો. આ પરથી ટીમ અને તેમની વચ્ચેના અંતરનો અંદાજ લગાવી શકાય છે.
ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી
10 વર્ષથી ટીમ સાથે જોડાયેલો જાડેજા 2012થી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે છે. રવિન્દ્ર જાડેજા ચેન્નાઈનો સૌથી મહત્વનો ખેલાડી છે અને ઘણા પ્રસંગોએ તેણે ટીમ માટે મેચ વિનિંગ ઈનિંગ રમી છે. ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રિટેન કરેલા ચાર ખેલાડીઓમાં જાડેજાનો પણ સમાવેશ થતો હતો, જેને 16 કરોડમાં રિટેન કરવામાં આવ્યો. પરંતુ ધોનીએ કેપ્ટનશિપ છોડ્યા બાદ જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે બાજી બગડી હતી. જોકે આ પછી માત્ર 37 દિવસ બાદ જ કેપ્ટન્સી છોડવી પડી હતી. ત્યાર બાદ ટીમ અને રવિન્દ્ર જાડેજાના સંબંધો બગડ્યા હતા.