ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલી ટેસ્ટના બીજા દિવસે રવીન્દ્ર જાડેજા બેવડી સદીની નજીક હતો ત્યારે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી.
રવીન્દ્ર જાડેજા મોહાલી ટેસ્ટમાં 175 રને નોટઆઉટ
રોહિત શર્માના નિર્ણય સામે ચાહકોમાં નારાજગી
અગાઉ સચિન સાથે પણ બન્યું હતું આવું
ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલી ટેસ્ટના બીજા દિવસે એક એવી ઘટના જોવા મળી હતી જેનાં કારણે બધાને નવાઈ લાગી હતી.
ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી અને ગુજરાતી ખેલાડી રવીન્દ્ર જાડેજા બેવડી સદીની નજીક હતો ત્યારે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ભારતની પહેલી ઈનિંગ 574/8 રનના સ્કોર પર ડિકલેર કરી હતી.
175 રન નોટઆઉટ જાડેજા
જ્યારે રોહિતે ઈનિંગ ડિકલેર કરી ત્યારે રવિન્દ્ર જાડેજા 175 રન પર નોટઆઉટ રમી રહ્યો હતો. મોહમ્મદ શામી સાથે તેણે 9મી વિકેટ માટે 94 બોલ પર અણનમ 103 રન પર જોડ્યા હતા, જાડેજા જે પ્રમાણે રમી રહ્યો હતો તે જોતા તેને 20થી 25 મિનિટ મળી જાત તો તે બેવડી સદી પણ આરામથી ફટકારી દેત.
ICYMI: From hunger for big tons to some Pushpa celebrations 🔥 👍
હવે રોહિતના નિર્ણયને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. 18 વર્ષ પહેલા દરેક 2004ના એ ટેસ્ટને યાદ કરી રહ્યા છે જ્યારે રાહુલ દ્રવિડે સચિન તેંડુલકરને 194 રનના સ્કોર પર પરત બોલાવી લીધા હતા.2004માં ઈન્ડિયા પાકિસ્તાનના પ્રવાસે હતું.
પહેલી ટેસ્ટ મુલ્તાનમાં રમવામાં આવેલી હતી. ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રાહુલ દ્રવિડ પાસે હતી, જે અત્યારે ભારતીય ટીમના કોચ છે. મેચમાં વિરેન્દ્ર સહેવાગની ત્રેવડી સદીના કારણે ટીમ ઈન્ડિયાને મજબૂત શરુઆત મળી હતી.
194 રનના સ્કોર પર ડિકલેર
તેંડુલકરે પણ શાનદાર બેટિંગ કરતા 194 રનની અણનમ ઈનિંગ રમી હતી, પરંતુ તેંડુલકર દ્રવિડના કારણે પોતાની બેવડી સદી પુરી ન કરી શક્યા. તેઓ જ્યારે ડ્રેસિંગ રુમ તરફ જઇ રહ્યા હતા ત્યારે તેઓ રાહુલ દ્રવિડના નિર્ણયને કારણે હેરાન તો હતા પણ થોડા નાખુશ પણ નજરે આવ્યા હતા.
સર રવીન્દ્ર જાડેજાનો બેસ્ટ સ્કોર
રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 228 બોલમાં અણનમ 175 રન કર્યા છે. આની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. એટલું જ નહીં આ મેચમાં જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર સિક્સર ફટકારીને 150 રનનો આંકડો પૂરો કર્યો હતો.
રવીન્દ્ર જાડેજાએ શું કહ્યું?
જો કે આ મામલે જાડેજાએ પોતે બાદમાં ખુલાસો કર્યો હતો કે મેં પોતે જ રોહિતને મેસેજ મોકલ્યો હતો કે પિચ પાસેથી મદદ મળે તેવી સ્થિતિ છે. બાઉન્સ વેરિયેબલ છે અને ટર્ન પણ સારો મળી રહ્યો છે. માટે ઇનિંગ ડિકલેર કરવાનો નિર્ણય ખોટો નહોતો.