ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ભારત દ્વારા હોસ્ટ કરવામાં આવતા ટી-20 વર્લ્ડ કપ-2021ની સાથે સમાપ્ત થશે. શાસ્ત્રી ત્યારબાદ ટીમ ઈન્ડિયાના કોચ પદેથી રાજીનામું આપશે. આ અંગે શાસ્ત્રીએ ઈશારો કર્યો છે.
શું રવિ શાસ્ત્રી ભારતીય ટીમના કોચ પદેથી રાજીનામું આપશે?
શાસ્ત્રીએ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો ઈશારો
'કોચ તરીકે એ બધી વસ્તુઓ પ્રાપ્ત કરી, જેની હું ઝંખના કરતો હતો'
કોચ તરીકે મેં બધી વસ્તુઓ પ્રાપ્ત કરી: રવિ શાસ્ત્રી
શાસ્ત્રીનું કહેવુ છે કે એક કોચ તરીકે તેમણે દરેક ચીજ વસ્તુ મેળવી, જેમનું તેમણે સપનુ જોયુ હતુ. બીજી તરફ વિરાટ કોહલીએ પણ હાલમાં જાહેરાત કરી હતી કે ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. શાસ્ત્રીએ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ઈશારો કરતા કહ્યું, મેં માઈકલ આથરટન સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતુ, મારા માટે આ મુખ્ય છે. કોચ તરીકે એ બધી વસ્તુઓ પ્રાપ્ત કરી, જેની હું ઝંખના કરતો હતો. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી-2017 બાદ અનિલ કુંબલેને કેપ્ટન વિરાટ કોહલી સાથે તણાવપૂર્ણ સંબંધો થયા બાદ મુખ્ય કોચના પદ પરથી રાજીનામું આપ્યું હતુ. ત્યારબાદ શાસ્ત્રી 2017માં ભારતીય ટીમના કોચ બન્યા હતા. શાસ્ત્રી કોચ બનતા ભારતીય ટીમ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી પહોંચી હતી.
શાસ્ત્રીએ પોતાની સિદ્ધીઓ ગણાવી
શાસ્ત્રીએ પોતાની સિદ્ધીઓ ગણાવતા કહ્યું, 5 વર્ષ સુધી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ પ્રથમ નંબરે રહી. ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ શ્રેણી જીતી. ઈંગ્લેન્ડને ઈંગ્લેન્ડમાં હરાવી. અમે દરેક ક્રિકેટ રમનારા દેશને તેના દેશમાં હરાવ્યાં છે. જો આપણે ટી-20 વર્લ્ડ કપ જીતીએ છીએ તો વધુ સારું રહેશે. તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં ભારતીય ટીમ 2-1થી આગળ હતી. તેમણે લોર્ડ્સ અને ધ ઓવલમાં મળેલી જીતને ખૂબ મહત્વપૂર્ણ ગણાવી.
નહીંતર તમને ગોળી મારી દેશે
મુખ્ય કોચની નિંદા અંગે તેમણે કહ્યું, મને આ વાતથી કોઈ ફરક પડતો નથી કે કોવિડ છે કે નહીં. લોકો ઈચ્છે છે કે તમે જીતો અને રન બનાવો. તેમણે વધુમાં કહ્યું, તમે જાણો છો કે ભારતનું કોચ થવુ એટલે બ્રાઝીલ અને ઈંગ્લેન્ડના ફૂટબોલ કોચ થવા જેવુ છે. તમે હંમેશા સક્રિય રહેવુ પડે છે. તમારી પાસે છ મહિનાનો સમય હોય છે અને પછી તમે 36 રન બનાવી આઉટ થઇ જાઓ છો તો લોકો તમને ગોળી મારી દેશે. એવામાં તમારે તરત જીતવાનુ છે.