ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે. ફેફડા સંબંધિત બિમારીની ફરિયાદ બાદ રવિશંકર પ્રસાદને એઇમ્સની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે એઇમ્સમાં દાખલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાત કરી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા.
એઇમ્સ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર અમિત શાહની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે અને આગામી એક અથવા બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમિત શાહને સ્વાઇન ફલૂ થયા બાદ બુધવારે એઇમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.
એઇમ્સ પ્રશાસન દ્વારા મળતી જાણકારી મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સારવાર એઇમ્સ હોસ્પિટલના નિદેશ રણદીપ ગુલેરિયાની દેખરેખમાં કરવામાં આવી રહી છે.
હોસ્પિટલમાં દાખલ થયા બાદ અમિત શાહે ટવિટ કરી સ્વાઇન ફલૂ થયા હોવાની જાણકારી આપી હતી. ભાજપના પ્રવક્તાએ ટવિટ કરી જાણકારી આપી કે અમિત શાહની તબિયત ઠીક છે.
પ્રવક્તાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની તબિયતમાં સુધાર થઇ રહ્યો છે. એક અથવા બે દિવસમાં અમિત શાહને એઇમ્સ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.