રાશનકાર્ડ ધારકો માટે આ માહિતી જાણી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આસામે રાશનકાર્ડ 'પોર્ટેબિલિટી' સેવા પણ શરૂ કરી છે. આ સાથે દેશભરમાં 'એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ' કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો છે.
રાશનકાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ ખબર
દેશભરમાં લાગુ થશે આ સર્વિસ
જાણો તેના વિશે બધુ જ
જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે સરકારી દુકાનમાંથી રાશન લો છો તો આ સમાચાર તમારા કામના છે. નવા અપડેટ અનુસાર આસામે પણ રાશન કાર્ડ પોર્ટેબિલિટી સેવા શરૂ કરી છે. આ સાથે કેન્દ્રનો 'એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ' (One Nation, One Ration Card) કાર્યક્રમ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે.
તમે કોઈપણ રાશનની દુકાનમાંથી રાશન લઈ શકો છો
ખાદ્ય મંત્રાલયે આ અંગેની માહિતી આપી હતી. ONORC હેઠળ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 (NFSA) હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓ તેમની પસંદગીની કોઈપણ ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસ (E-POS)થી સજ્જ રાશનની દુકાનોમાંથી સબસિડીવાળા અનાજનો કોટા મેળવી શકે છે.
તમામ રાજ્યોમાં સફળતાપૂર્વક લાગુ
આ માટે કાર્ડધારકોને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (Biometric Authentication)સાથે વર્તમાન રેશન કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આસામ ONORC લાગુ કરનાર 36મું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. આ સાથે, સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષાને 'પોર્ટેબલ' બનાવતા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ONORC કાર્યક્રમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે.
20 લાખથી વધુ વખત કરવામાં આવ્યું ડાઉનલોડ
ઓએનઓઆરસીનો ક્રિયાન્વયન ઓગસ્ટ 2019માં શરૂ કરવામાં આવ્યો હતો. વન નેશન, વન રાશન કાર્ડ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે સરકારે 'મેરા રાશન' મોબાઈલ એપ્લિકેશન પણ શરૂ કરી છે. આ એપ લાભાર્થીઓને વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડી રહી છે. તે હાલમાં 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી અત્યાર સુધીમાં એપને 20 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.