આજે 141મી રથયાત્રા યોજાઇ રહી છે ભગવાન જગન્નાથ અમદાવાદના જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિરથી નગરયાત્રાએ નિકળ્યા છે. ભગવાનના ઓવારણા લેવા માટે ભક્તોનું ઘોડાપુર હિલોળે ચડ્યું છે. જગતનો નાથ આજે નગરયાત્રાએ નિકળેલ છે. અમદાવાદ ખાતે આવેલ જગન્નાથ મંદિર શહેરની પોળોને શણગારવામાં આવી છે.
141મી રથયાત્રાનો પરંપરાગત રીતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રીએ નીતિન પટેલે પરંપરાગત રીતે પહિંદવિધી કરીને પ્રારંભ કરાવ્યો છે. રથયાત્રાની રોચકવાતો આપને પણ જાણીને આનંદ થશે. આજનો દિવસ અમદાવાદીઓ માટે અનેરો આનંદ આપનારો છે.
મિત્રો રથયાત્રા સાથે કેટલીક રોચક વાતો જોડાયેલી છે જેને આપણે તાજી કરવી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્દ્રા અને બલરામ એમ 3 રથ નગરમાં ભ્રમણ કરશે અને પ્રજાને દર્શન આપે છે. રથયાત્રા સાથે એક લોકકથા જોડાયેલ છે. ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા)ને પુછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે.
છતાં ભગવાન કૃષ્ણ આખો દિવસ રાધાનું નામ કેમ સ્મરે છે. ત્યારે રોહિણી માતાએ જવાબ આપ્યો કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યું કે કોઇને અંદર પ્રવેશ ન આપવો.
આ ઘટના બાદ રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોકવામાં આવ્યા.
કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ત્રણેય ભાઇ-બહેનના હાથ અને પગ સંકોચાવા લાગ્યા અને આંખો મોટી થવા લાગી. આ ઘટના બાદ ભગવાન શ્રીકૃષ્ણને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા ત્યારે તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો પણ મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યું અને ભગવાન દર વર્ષે આ રીતે નગરયાત્રાએ નીકળે છે.
આપને જણાવી દઇએ કે રથયાત્રા ભારતના કેટલાય સ્થળો પર નિકળે છે. આ સ્થળોમાં ખાસ કરીને ઓ઼ડિશા ખાતે આવેલ જગન્નાથપુરી અને અમદાવાદના જગન્નનાથ મંદિરની રથયાત્રા વધારે પ્રમાણમાં લોકમુખે ચર્ચાનું કેન્દ્ર બનેલ છે. આજે પુરી ખાતે અને અમદાવાદના જમાલપુર ખાતે રથયાત્રા નીકળી છે જેને વધાવવા માનવમહેરામણ હિલોળે ચડેલ છે.
ઉલ્લેખનીય છે કે રથયાત્રામાં જોડાયેલા રથના ખુબ જ મોટાં પૈડાંવાળા અને સંપૂર્ણ કાષ્ટ(લાકડાં)નાં બનેલા હોય છે. જેને દર વર્ષે નવા બનાવવામાં આવે છે અને તેને ભાવિકજનો દ્વારા તેને ખેંચીને સમગ્ર નગરમાં લઈ જવામાં આવે છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે.
જગન્નાથનાં આ વિશાળ રથોને રથયાત્રા સમયે ખેંચવાની ક્રિયા પરથી અંગ્રેજી ભાષામાં "Juggernaut" (જગરનૉટ) શબ્દ રચાયેલછે. આ રથયાત્રાને "ગુંડીચા યાત્રા" પણ કહેવામાં આવે છે. આજે 141મી રથયાત્રા છે ત્યારે Vtv પરિવાર પણ રથયાત્રાના પાવન પર્વની શુભકામનાઓ પાઠવે છે.
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)