જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા અંગે દેશની વડી અદાલતે શરતી મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે આજે રાતે 9 વાગ્યાથી 24 તારીખે બપોરે 2 વાગ્યા સુધી શટડાઉન રહેશે.
જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવાની સુપ્રીમની મંજૂરી
રાતે 9 વાગ્યાથી આવતીકાલે બપોર સુધી શટડાઉન
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ એન્ટ્રી પોઇન્ટ્સ બંધ રહેશે અને અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ પડશે. આ જાણકારી ઓડિશાના ચીફ સેક્રટરી અસિત ત્રિપાઠીએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, રથયાત્રા દરમિયાન કોરોનાને ધ્યાને લેતા કર્ફ્યુ જેવો પ્રતિબંધ રહેશે.
પુરીમાં રથયાત્રાને મંજૂરી
આપને જણાવી દઇએ કે, પુરીમાં જગન્નાથ રથયાત્રાને સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે શરતો સાથે રથયાત્રાને મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે પ્લેગ રોગચાળા દરમિયાન પણ રથયાત્રા મર્યાદિત નિયમો અને ભક્તો વચ્ચે થઈ હતી. કોરોના વાયરસ મહામારીને કારણે પુરી રથયાત્રા પર પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઇ સુનાવણી
આ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી કરવામાં આવી હતી. આ કેસમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (સીજેઆઈ) એસ.એ. બોબડેએ ત્રણ જજની બેંચની રચના કરી. આ બેંચમાં સીજેઆઈ એસ.એ. બોવડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.