આજે ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રા છે ત્યારે વહેલી પરોઢથી જ ભક્તોનું ઘોડાપૂર ભગવાનનાં દર્શન માટે જમાલપુર ખાતે ઊમટી પડયા હતા. હજારો પોલીસના લોખંડી સુરક્ષા વચ્ચે ભક્તોએ ભગવાન જગન્નાથનાં દર્શન કર્યાં હતાં. જમાલપુર બ્રિજથી ભક્તો પોતાનાં વાહનો આડેધડ પાર્ક કરીને મંદિરમાં દર્શન માટે ગયા હતા.
આડેધડ વાહન પાર્ક કરવાના કરાણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. જેના કારણે ટ્રાફિક વિભાગે ૧૦૦ કરતાં વધુ વાહનોને ટોઇંગ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ કામગીરી માટે ટ્રાફિક પોલીસ દ્વારા ૪૦ જેટલી ક્રેઇન મેદાનમાં ઉતારવામાં આવી છે. રથયાત્રામાં લાખો લોકોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસે લોખંડી સુરક્ષા પણ ગોઠવી દીધી છે. પોલીસે ભક્તો માટે અલગઅલગ જગ્યાએ વાહન પાર્કિંગની વ્યવસ્થા કરી છે.
જેથી કોઇનાં વાહનોની ચોરી કે ટોઇંગ ના થાય. આજે વહેલી પરોઢથી હજારો ભક્તો જગન્નાથનાં મંદિરે દર્શનનો લહાવો લેવા માટે આવ્યા હતા. ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં અને કોઇને હાલાકીનો સામનો કરવો પડે નહીં તે માટે પોલીસે ઠેર ઠેર વાહનચાલકોની મદદ કરી હતી અને યોગ્ય જગ્યાએ વાહનો પાર્ક કરાવ્યાં હતાં. જમાલપુર ફૂલ બજાર પાસેનાં પાર્કિંગમાં લોકોએ પોતાનાં વાહનો પાર્ક કર્યાં હતાં. તો કેટલાક લોકો રોડ પર આડેધડ પોતાનાં વાહનો પાર્ક કરીને મંદિરમાં દર્શન માટે જતા રહ્યા હતા.
વહેલી પરોઢથી જમાલપુર ખાતે ટોઇંગવાન તેમજ ટ્રાફિક પોલીસ પણ તૈનાત હતી. જેમણે ગેરકાયદે પાર્ક કરેલાં વાહનોને ટોઇંગ કર્યાં હતાં. પ્રાપ્ત વિગતો મુજબ, માત્ર આજે વહેલી પરોઢે ટ્રાફિક વિભાગે ૧૦૦થી પણ વધુ વાહનો ટોઇંગ કર્યાં છે. જમાલપુર ઉપરાંત ગોળ લીમડા સહિત રથયાત્રાના ૨૨ કિલોમીટરના રૂટ પર જેટલા પણ લોકોએ આડેધડ પોતાના વાહનો પાર્ક કર્યા છે. તેમના વાહનો ટ્રાફિક વિભાગે ટોઈંગ કર્યા છે. દર્શન કરવા માટે આવેલા શ્રધ્ધાળુઓના વાહનો ટોઈંગ થતા રોષે ભરાયા હતા અને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો.