ભગવાનની આંખોને ઠંડક મળી રહે અને સાથે ચાલનારા ભક્તોના શરીરમાં તાકાત રહે તે માટે હરિયાળીના કલર એવા મગનો પ્રસાદ વહેંચવાની પરંપરા રથયાત્રાના દિવસે નિભાવવામાં આવે છે.
આ કારણે રથયાત્રામાં અપાય છે મગનો પ્રસાદ
જાણો શું છે ધાર્મિક માન્યતા
જાણો રથયાત્રાનો રૂટ પણ
દર વર્ષ અને આ વર્ષની રથયાત્રામાં અનેકગણું અંતર છે. ભગવાન ભક્તો વિના જ નગરયાત્રાએ નીકળ્યા છે. પરંપરા અનુસાર રથયાત્રા પહેલા ભક્તોને આપવા માટે મગની સાફ સફાઈ થતી હોય છે. ભક્તો મંદિરમાં મગનું દાન કરતા હોય છે અને તે જ મગ રથયાત્રામાં ભક્તો ને અપાતા હોય છે પણ આ વર્ષે કંઈક પ્રથા અલગ છે. મંદિર ના સેવકો દ્વારા જ મગની સાફ-સફાઈની શરૂઆત કરી દેવામાં આવી હતી.
આ કારણે વહેંચાય છે ખાસ મગનો પ્રસાદ, આવી છે માન્યતા
અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે તેમાં આ મગનો પ્રસાદ મુખ્ય હોય છે. માનવામાં આવે છે કે ભગવાન મોસાળથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવી જતી હોય છે. અને તેમને આંખે પાટા બાંધવામા આવે છે. ભગવાનને મગનો પ્રસાદ ખવડાવવામાં આવે છે. જેથી તેમની આંખોને ઠંડક મળે છે. મગ હરીયાળીનો કલર છે તેથી તેને સુકનનો પ્રસાદ માનવામાં આવે છે. લોકો રથની સાથે ચાલતા હોય તે વખતે સ્ફુર્તિ અને શરીરમાં તાકત રહે તે માટે મગનો પ્રસાદ આપવામાં આવે છે.
મગના પ્રસાદનું મહત્વ
ત્રણેય ભાઈ-બહેન મોસાળમાં હતા આ સમયે તેઓએ મામાના ઘરે ખૂબ કેરી અને જાંબુ ખાઈ લીધા હતા. આ પછી તેના કારણે ભગવાન જગન્નાથને આંખો આવી અને તેના કારણે તેમને પાટા બાંધીને ઘરે લાવવામાં આવે છે. આ સમયે ભગવાનને મગ ખવડાવવામાં આવે છે. જેથી તેમની આંખોને થોડી ઠંડક મળી રહે. આ સાથે અન્ય વાત એવી પણ જોડાયેલી છે કે મગ શરીરને તાકાત આપનારું ધાન માનવામાં આવે છે. રથયાત્રા પગપાળા કરવાની રહે છે અને લાંબો રૂટ પણ હોય છે. આ સમયે પગપાળા ભક્તો થાકી જતા હોય છે. રથ ખેંચનારા ખલાસીઓ અને સાથે પદયાત્રીઓ માટે મગનો પ્રસાદ શકિતવર્ધક માનવામાં આવે છે. મગના પ્રસાદથી ભક્તો થાક ઓછો અનુભવે છે. વર્ષોથી મગની સાથે સૂકા મેવાની ખીચડી પણ પ્રસાદમાં આપવામાં આવે છે. ભગવાનને બ્રહ્મ મુહૂર્તમાં ખીચડીનો પ્રસાદ ધરાવાય છે અને પછી આ તમામ ચીજો ફણગાવેલા મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ વહેચવામાં આવે છે. આ સિવાય આ ખાસ દિવસે માલપુઆ, ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ પ્રભુને પ્રિય હોવાથી તેને પણ ધરાવવામાં આવે છે.