ભગવાન જગન્નાથની આગામી તા.૪ જુલાઇ-અષાઢી બીજે નીકળનારી ૧૪રમી રથયાત્રા (Rath Yatra) આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. અમદાવાદની અસ્મિતાની પ્રતીક બનેલી આ રથયાત્રાના શાનદાર આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જમાલપુરમાં આવેલા જગન્નાથજી મંદિરમાં કલરકામ તેમજ લાઇટિંગ થઇ રહ્યું છે તો મ્યુનિસિપલ સત્તાવાળાઓ સમગ્ર રૂટ પર ખાડા વગરના રસ્તા, ચાલુ હાલતમાં સ્ટ્રીટલાઇટના થાંભલા, પાણીની વ્યવસ્થા, રખડતાં ઢોરથી રૂટને મુક્ત કરવો જેવી તૈયારીઓની સાથે-સાથે રૂટ પરનાં ભયજનક મકાનનો સર્વે કરીને રથયાત્રા (Rath Yatra) વખતે ભાવિક ભક્તો કે સ્થાનિકો જર્જરિત મકાન કે તેનો કોઇ ભાગ અચાનક ધરાશાયી થઇને ઇજાગ્રસ્ત ન થાય તે માટે તેવા ભાગને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. દરમિયાન તંત્રના સર્વે મુજબ સમગ્ર રથયાત્રા રૂટ પર કુલ ર૭૯ ભયજનક મકાન છે.
મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પરંપરાગત રીતે રથયાત્રા અગાઉ તેના રૂટ પરનાં મકાનની સ્થિતિ અંગે સર્વે હાથ ધરાય છે. જે મકાન પૂર્ણ જર્જરિત હોય કે તેનો કોઇ હિસ્સો જર્જરિત લાગે તો તેવા મકાનને તંત્ર ભયજનક જાહેર કરે છે તેમજ કબજેદારને ચેતવણી પણ પાઠવે છે.
જેમાં મકાનની રસ્તા પરનાં ગેલેરી, ઝરુખા-મકાનનો ભાગ બિનસલામત છે અને વધુ વ્યક્તિઓ તે ભાગમાં આવે તો તે ભાગ ભયજનક અને જોખમકારક બનતો હોઇ રથયાત્રાના દિવસે બહારની કોઇ વ્યક્તિને મકાનમાં પ્રવેશવા દેવી નહીં તેમજ તે ભાગનું તત્કાળ રિપેરિંગ કરાવવું તેવી ચેતવણી કબજેદારને અપાય છે. ગત વર્ષે રથયાત્રા રૂટ પર કુલ ર૯પ ભયજનક મકાન હતાં, જે પૈકી સમગ્ર ગત વર્ષના સમયગાળામાં કુલ ૪પ ભયજનક મકાનને રિપેર કરાયાં હોવાનો તંત્રનો દાવો છે. આની સાથે-સાથે ચાલુ વર્ષે નવાં કુલ ર૯ મકાન વધ્યાં હોવાનું પણ સત્તાવાળાઓ કહે છે.
મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગનાં સત્તાવાર સૂત્રો કહે છે કે ચાલુ વર્ષે તંત્રના સર્વેમાં રથયાત્રા રૂટ પર કુલ ર૭૯ ભયજનક મકાન મળી આવ્યાં છે, જે પૈકી ખાડિયામાં સૌથી વધુ ૧૭૯, જમાલપુરમાં ૧૦, દરિયાપુરમાં ૯૦, કાલુપુરમાં ૮ અને શાહપુરમાં સૌથી ઓછાં બે મકાનને તંત્ર દ્વારા ભયજનક જાહેર કરાયાં છે. રથયાત્રા (Rath Yatra) રૂટ પરના રોડ તરફના જે તે મકાનનાં ભયજનક ગેલેરી, ઝરુખા કે દીવાલને દૂર કરવાની કામગીરી હેઠળ છેલ્લા બે દિવસમાં ખાડિયાનાં રર અને દરિયાપુરનાં ૧૧ મળી કુલ ૩૩ મકાનના ભયજનક ભાગને દૂર કરાયા હતા.