શહેરમાં ગઇ કાલે ૧૪રમી રથયાત્રા ભક્તિના ઘોડાપુર સાથે નીકળી હતી. રથયાત્રાના ૧૪ કિ.મી.ના રૂટ પર હજ્જારો શ્રદ્ધાળુુઓ ભાવવિભોર થઇ ઊમટ્યા હતા. ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે કોમી એખલાસ અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઇ હતી.
જોકે રથયાત્રાના રૂટ પર એકઠા થયેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શનનો લાભ લેતાં લેતાં એક યા બીજા પ્રકારનો ૧૭૦ ટન કચરો સમગ્ર રૂટ પર ફેંક્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પહેલી જ વખત રથયાત્રાની સાથે સાથે રોડ પરનાં સફાઇનું બીડું ઝડપ્યું હતું.
એટલે કે જેમ જેમ રથયાત્રા પસાર થતી જાય તેમ તેમ પાછળ પાછળ તંત્ર દ્વારા સફાઇની કામગીરી હાથ ધરાતી જતી હતી. આ માટે મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ૯૦ કર્મચારીઓની એક ટીમ મુજબ કુલ ૩૬૦ કર્મચારીની કુલ ચાર ટીમ બનાવાઇ હતી.
આ ટીમને રથયાત્રાના રોડ પરના કચરો એકઠો કરવા માટે ઝાડુુ, કાળા રંગની કોથળીઓ, નાના-મોટા વાહન અને ટ્રેકટર પૂરાં પડાયા હતાં. તંત્રના સફાઇ અભિયાનમાં શહેરની વિભિન્ન કોલેજોના રપ૦ જેટલા વિદ્યાર્થી પણ જોડાયા હતા.
આ સફાઇ દરમ્યાન જ્યારે ભગવાન નિજ મંદિરે પરત ફર્યા તે સમય સુધીમાં કુલ ૧ર૦ ટન કચરો એકઠો કરાયો હતો. ત્યારબાદ સત્તાવાળાએ ફરી સફાઇનો બીજો રાઉન્ડ શરૂ કર્યો હતો અને તેમાં વધુ પ૦ ટન કચરો મળીને કુલ ૧૭૦ ટન કચરો એકઠો કર્યો હતો.
જાણકાર સૂત્રો કહે છે, શ્રદ્ધાળુઓ દ્વારા દર્શનઅર્થેના ભારે ધસારાના કારણે મોટી સંખ્યામાં ચંપલ, ખેસ, રૂમાલ વગેરે ભૂલી ગયા હતા. જ્યારે શ્રદ્ધાળુઓ દ્વારા ફેંકાયેલી પાણીની બોટલો, ખાણી-પીણીનાં ખાલી પડીકાં વગેરે કચરો પણ મળ્યો હતો.