ભગવાન જગન્નાથજી પંદર દિવસ સરસપુર સ્થિત રણછોડજી મંદિર મામાના ઘરે રોકાયા હતા. મામાના ઘરેથી આજે ભગવાન િનજ મંદિર પરત ફર્યા છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાયા બાદ શાસ્ત્રોકતવિધિ પ્રમાણે ભગવાનની નેત્રોત્સવવિધિ યોજાઈ હતી.
નેત્રોત્સવ પૂજાવિધિ કરી ત્રણેય પ્રતિમાની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. હવે ભગવાનની આંખથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારના ૪ વાગ્યે ખોલવામાં આવશે. ત્યાર પછી મંગળા આરતી થશે. મંદિરની ધ્વજારોહણવિધિ બાદ આજે બપોરના ૧ર કલાકે મહાઆરતી કરવામાં આવી હતી.
આમ તો નેત્રોત્સવવિધિ રથયાત્રાના આગળના દિવસે જ કરવાની પરંપરા રહી છે, પરંતુ આ વર્ષ દરમિયાન આ વિધિ બે દિવસ પહેલાં યોજાઇ રહી છે. ભગવાન ૧પ દિવસ મોસાળમાં રહીને આવ્યા હોય છે, જ્યાં તેમણે અનેક મિષ્ટાન્ન અને જાંબુ આરોગ્યાં હોય છે, જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે, જેથી આજે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે.
આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. નેત્રોત્સવવિધિ સમયે ભગવાનની આંખે જે પાટા બાંધવામાં આવે છે તે પાટાનાં ઉપરણાં તૈયાર કરવામાં આવે છે અને જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે તે ઉપરણાં પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. આ વર્ષે પાંચ લાખ ઉપરણાંનો પ્રસાદ તૈયાર કરાયાે છે, જે રથયાત્રા પર ભક્તોને પ્રસાદરૂપે વહેંચવામાં આવશે.
દરમિયાન આજે અમાસે યોજાયેલા કાલી રોટી-સફેદ દાલના ભંડારામાં ત્રણ હજારથી વધુ સાધુ-સંતો અને પ૦ હજારથી વધુ લોકો ભાગ લીધો હતો. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે જેઠ સુદ પૂનમે ભગવાન મોસાળ સરસપુર ખાતે બિરાજમાન થયા હતા.
મોસાળમાં તેમને અનેક વ્યંજન ધરાવાયાં હોવાથી તેમની નેત્રોત્સવવિધિ કરવામાં આવે છે. માલપૂઆ અને દૂધપાક ભંડારામાં પીરસવામાં આવતાં હોવાથી ભંડારો “કાલી રોટી અને સફેદ દાલ” તરીકે પણ જાણીતો બન્યો છે. જગન્નાથજીના આગમન અને ઉત્સવના ભાગરૂપે ‘કાલી રોટી-સફેદ દાલ’ના ભંડારામાં પ૦ હજારથી વધુ લોકોએ પ્રસાદ લીધો હતો.
મામાના ઘરેથી પંદર દિવસ પછી ભગવાન આવ્યા હોવાથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ-ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જગન્નાથજી મંદિરમાં ઊમટી પડ્યા હતા અને ભગવાનના સોનાવેશમાં દર્શન કરીને ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. રાજ્યના ૧૦ હજારથી વધુ ભક્તો પુરી ખાતે જગન્નાથજીની યાત્રામાં સામેલ થવા પહોંચ્યા છે.
રાજ્યપાલ ઓ.પી. કોહલી તથા મેયર બીજલબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, દંડક રાજુ ઠાકોર અને પક્ષના નેતા અમિત શાહ વગેરે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટોચના હોદ્દેદારોએ નેત્રોત્સવવિધિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.