અમદાવાદમાં જગન્નાથજીનું આગમન થયા બાદ મહંતોનો અવિરત સેવાયજ્ઞ શરૂ થયો. મહંત શ્રી સારંગદાસજીએ પ્રજ્વલિત કરેલી ભક્તિની જ્યોત ઝળહળવા લાગી. તેમના શિષ્ય બાલમુકુંદદાસજીની ભક્તિએ પણ આ જ્યોતમાં તેમની ભક્તિનું તેજસ ઉમેર્યુ.
સંત શ્રી નરસિંહદાસજી પરમ ગૌ સેવક હતાં. કહેવાય છે કે ગાયો પણ નરસિંહદાસજીને તેમના પગરવથી ઓળખી જતી. ગોકુલના ગોપાલ કેવા હશે. તેની પ્રતિતી લોકોને નરસિંહદાસજી મહારાજને જોઇને થતી. કોઇપણ ભુખ્યુ ન રહે તે માટે સંતશ્રી નરસિંહદાસજી સદાય પ્રયત્નશીલ રહેતાં. તેમના સાનિધ્યમાં જ કાળી રોટી–ધોળી દાળનુ સદાવ્રત વધુ વેગથી ચાલવા લાગ્યું. કીડી માટે કણ અને હાથી માટે પણ વ્યવસ્થા કરીને જ સંત શ્રી ભોજન કરતાં. તેમની જ ભાવનાની ઉપજથી કેટલીય સેવાકીય પ્રણાલિકાઓ મંદિર પરિસરમાં આકાર પામી જેમાંથી જ એક છે સદાવ્રત.
શ્રી નરસિંહદાસજી જેવા પરમ સંતની નિષ્કામ સેવાથી જગન્નાથ મંદિરની કિર્તી પણ વધુને વધુ પ્રસરતી રહી. શરૂઆતમાં જગન્નાથ મંદિરમાં રથયાત્રા ન હતી નીકળતી. પણ કહેવાય છે કે એક દિવસ ભગવાન જગન્નાથજી સંત શ્રી નરસિંહદાસજીના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે 'વત્સ નરસિંહ મહંત શ્રી સારંગદાસજીના આમંત્રણથી અને મારી ઇચ્છાથી અમે ભાઇ-બહેન પુરીથી કર્ણાવતીમાં આવીને વસ્યાં છીએ. ઉત્કલ પ્રદેશ પુરીની જેમ જ અષાછી બીજે શહેરની પરિક્રમા કરી બાળકો વૃદ્ધો અને અપંગ-અશક્તોને દર્શન આપવા જવાની અમારી ઇચ્છા છે. દર વર્ષે અહીં કર્ણાવતીમાં રથયાત્રા શરુ કરી જનહિતાર્થે અમારી ઇચ્છા પરિપૂર્ણ કરી.
બીજા જ દિવસે સંત શ્રી નરસિંહદાસજીએ દર્શનાર્થીઓ અને હરિભક્તોને સત્સંગના મેળાવડામાં બોલાવી સ્વપ્ન સંબંધી વાત કરી કર્ણાવતી નગરીમાં રથયાત્રા શરુ કરવાની વાતને સૌએ હર્ષથી વધાવી લીધી અને પછી વર્ષ 1878ની જેઠ સુદ પુનમના રોજ જલયાત્રાનો પ્રથમ વરઘોડો નીકળ્યો. ત્યારબાદ અષાઢી બીજે નીકળી અમદાવાદમાં બિરાજીત જગતના નાથની પ્રથમ રથયાત્રા.
સૌ ભક્તજનોની એક જ ઇચ્છા છે કે જગન્નાથ મંદિરના મહંતોએ પ્રજવલિત કરેલી સેવાની અંખડ જ્યોત કોઇપણ અડચણ વિના મંદિરને અને લોકોના જીવનને પ્રકાશિત કરતી રહે અને જગતના નાથની રથાયાત્રા વધુને વધુ વિશાળ બને.