એર ઈન્ડિયા હવે ટાટા ગ્રુપની થઇ ગઇ છે. ટાટા ગ્રુપ દ્વારા એર ઈન્ડિયાના અધિગ્રહણ બાદ હવે ટાટા ગ્રુપના વડા અને ઉદ્યોગપતિ રતન ટાટાએ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં મુસાફરોનું ઉષ્માભેર સ્વાગત કર્યુ. એર ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર રતન ટાટાનો એક વેલકમ મેસેજ જાહેર કર્યો છે.
એર ઈન્ડિયાને મનપસંદ એરલાઈન બનાવવા સાથે મળીને કામ કરીશું
રતન ટાટા શું કહી રહ્યાં છે?
ખરેખર, આ વેલકમ મેસેજ એક ઓડિયો ક્લિપ છે, જેમાં રતન ટાટાનો અવાજ છે. ટાટા સન્સના ચેરમેન અને ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટાએ કહ્યું, ટાટા ગ્રુપ એર ઈન્ડિયાના નવા ગ્રાહકોનું સ્વાગત કરે છે. મુસાફરોની સુવિધા અને સેવા મામલે એર ઈન્ડિયાને મનપસંદ એરલાઈન બનાવવા માટે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છે. મહત્વનું છે કે ગયા અઠવાડિયે ટાટાએ એર ઈન્ડિયાની માલિકી પ્રાપ્ત કરી લીધી છે અને નુકસાનમાં ચાલતી એરલાઈનને વિશ્વ કક્ષાની એરલાઈનમાં બદલવાનું વચન આપ્યું.
18,000 કરોડની ડીલ
ટાટા સમૂહની હોલ્ડિંગ કંપની ટેલેસ પ્રાઈવેટ લિમિટેડે આઠ ઓક્ટોબર, 2021ના દિવસે દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાના અધિગ્રહણની 18,000 કરોડ રૂપિયામાં બોલી જીતી લીધી હતી. ત્યારબાદ અધિગ્રહણની પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ ત્રણ મહિના થયા. હવે સત્તાવાર રીતે એર ઈન્ડિયાનું સંચાલન ટાટા સમૂહને મળી ગયુ છે. આ અધિગ્રહણ પ્રક્રિયા બાદ દેશની એવિએશન ઈન્ડસ્ટ્રીમાં ટાટા સમૂહનો દબદબો વધી ગયો છે. ટાટા સમૂહની હવે ત્રણ એરલાઈન- વિસ્તારા, એર એશિયા અને એર ઈન્ડિયા થઇ ગઇ છે.
એર ઈન્ડિયામાં હવે શું બદલાશે
ન્યુઝ એજન્સી એએનઆઈ મુજબ, એર ઈન્ડિયાના ઔપચારિક હેન્ડઓવર બાદ ટાટા મોટા ફેરફાર કરશે. આ નક્કી કરવા માટે મહત્તમ ભાર આપવામાં આવશે કે એર ઈન્ડિયાના દરેક વિમાન સમય પ્રમાણે ઉડાન ભરે. એટલું જ નહીં, ટાટા સમૂહે ઘણા અન્ય ફેરફારોની પણ યોજના બનાવી છે. જાણકારી મુજબ, બેસવાની વ્યવસ્થા અને કેબિન ક્રૂના ડ્રેસમાં પણ મોટો ફેરફાર કરાશે. સૂત્રોએ કહ્યું કે ટાટા હોટલ વ્યવસાયમાં અગ્રણી કંપની છે અને તે એરલાઈનમાં ભોજનની ગુણવત્તામાં ફેરફાર કરવામાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે. એર ઈન્ડિયાના એક અધિકારી મુજબ, રતન ટાટાનો રેકોર્ડેડ મેસેજ એર ઈન્ડિયાના બધા વિમાનોમાં ઓન બોર્ડ ચલાવવામાં આવશે.