ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાએ આખા જીવનમાં કોઈની સાથે લગ્ન કર્યા નહીં. જો કે તેનો અર્થ એ નથી કે તેમણે જીવનમાં ક્યારેય કોઈને પ્રેમ જ કર્યો નથી. એક ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ જાતે પોતાની લવ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો હતો.
રતન ટાટાનો 84મો જન્મ દિવસ
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટા પ્રેમમાં રહ્યાં અસફળ
બિઝનેસ ક્ષેત્રમાં રતન ટાટાએ આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી
રતન ટાટાના જીવનમાં પ્રેમે એક વખત નહીં પરંતુ ચાર-ચાર વખત દસ્તક આપી હતી. પરંતુ મુશ્કેલીના કારણે તેમના પ્રેમની દોરી નબળી પડતી હતી. ત્યારબાદ ક્યારેય પણ રતન ટાટાએ લગ્ન અંગે વિચાર્યુ જ નથી. રતન ટાટાના 84મા બર્થ ડે પર તેમની લવ સ્ટોરી અંગે રસપ્રદ વાતો જાણીએ.
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ સુરતમાં થયો હતો. ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી અને એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. તેમણે ટાટા ગ્રુપને નવી ઉંચાઈઓ પર પહોંચાડવાનું કામ કર્યુ. બિઝનેસની દુનિયામાં રતન ટાટાએ આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, પરંતુ પ્રેમમાં તેઓ અસફળ રહ્યાં છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અવિવાહીત ઉદ્યોગપતિ રતન ટાટાએ પોતાની લવ સ્ટોરી અંગે કેટલાંક ખુલાસા કર્યા હતા.
રતન ટાટાએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે તેમને પ્રેમ થયો હતો. પરંતુ તેઓ પોતાના પ્રેમને લગ્ન સુધી અંજામ આપી શક્યા નહોતા. ટાટાએ કહ્યું કે પોતાના દૂરંદેશી સ્વભાવને ધ્યાનમાં રાખીને તેમણે વિચાર્યુ કે હું અપરિણીત રહ્યો તે સારું થયુ. કારણકે જો તેમણે લગ્ન કર્યા હોત તો પછી સ્થિતિ ખૂબ જટિલ હોત. તેમણે કહ્યું, જો તમે પૂછો કે શું તેમને ક્યારેય કોઈની સાથે પ્રેમ થયો તો તો અહીં જણાવવાનું કે હું ચાર વખત લગ્ન કરવા માટે ગંભીર થયો હતો અને પરંતુ દરેક વખતે કોઈના કોઈ ડરના કારણે હું પાછળ હટી ગયો હતો. પોતાના જવાનીના દિવસો અંગે ટાટાએ કહ્યું, જ્યારે હું અમેરિકામાં કામ કરી રહ્યો હતો ત્યારે કદાચ હું પ્રેમને લઇને સૌથી વધુ સીરિયસ થયો હતો અને અમે એટલા માટે લગ્ન ના કરી શક્યા કારણકે હું ભારત પાછો આવી ગયો.
રતન ટાટાની પ્રેમિકા ભારત આવવા ઈચ્છતી નહોતી. એ જ સમયે ભારત-ચીનનું યુદ્ધ પણ છેડાયુ હતુ. આખરે તેમની પ્રેમિકાએ અમેરિકામાં જ કોઈની સાથે લગ્ન કરી લીધા હતા. ટાટાને પૂછવામાં આવ્યું કે શું તેમની પ્રેમિકા હજી પણ તે શહેરમાં જ છે તો વળતા જવાબમાં ટાટાએ હા પાડી. પરંતુ આ અંગે તેમણે વધુ જણાવવાની ના પાડી. ઉલ્લેખનીય છે કે, રતન ટાટા સમૃદ્ધ પરિવારમાં જન્મ્યા હતા. પરંતુ તેમનુ જીવન એટલું સરળ ન હતુ. કારણકે રતન ટાટા જ્યારે 7 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા અલગ થયા હતા. તેમનુ પાલન-પોષણ પણ તેમની દાદીએ કર્યુ હતુ.