ભોલેનાથની આરાધનાના પવિત્ર અવસર એવા મહાશિવરાત્રિના પગલે શહેરના શિવ મંદિરો શિવમય થઈ ગયા છે. શંકરની પૂજા આરતી હવન માટે ભક્તોમાં આજે સમગ્ર માહોલ બમ બમ ભોલેથી ગુંજી રહ્યો છે. સૂર્યનાં કુંભ રાશિમાં ભ્રમણ અને ચંદ્રનાં મકર રાશિમાં ભ્રમણ સમયે મહા વદ ચતુર્દશી ૨૧ ફેબ્રુઆરીના રોજ ૨૭ વર્ષે ચંદ્રની રાશિમાં શનિ અને ચંદ્રનું મિલન થશે.
શિવરાત્રિની તડામાર તૈયારીઓ
117 વર્ષ બાદ શનિ અને શુક્રનો બની રહ્યો છે ખાસ સંયોગ
ધાર્મિક માહાત્મ્ય બેવડાયું
૧૧૭ વર્ષ પછી શનિ અને શુક્રના સંયોગમાં શુક્રવારી મહાશિવરાત્રિ હોઈને તેનું ધાર્મિક માહાત્મ્ય બેવડાયું છે. શાસ્ત્રોમાં ચતુર્દશીને મહાદેવ શિવની તિથિ શિવરાત્રિ તરીકે વર્ણવવામાં આવી છે. જેમાં વદ પક્ષની ૧૨ ચતુર્દશીમાં મહા વદ ચતુર્દશીને મહાશિવરાત્રિ તરીકે ઊજવવામાં આવે છે.
શિવ અને શક્તિનું મિલન થયું હોવાથી શિવરાત્રિ તરીકે થાય છે ઉજવણી
મહા વદ ચતુર્દશીએ મહાદેવ શિવના પાર્વતીજી સાથે વિવાહ થયા હતા. આ દિવસે શિવ અને શક્તિનું મિલન થયું હોવાથી શિવરાત્રિ તરીકે ઉજવાય છે. આ દિવસે કરાયેલી સાધના ત્વરિત સિદ્ધિ આપે છે.
મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ
મહાશિવરાત્રિના દિવસે સર્વાર્થ સિદ્ધિ નામનો શુભ યોગ પણ બની રહ્યો છે. આ શુભ યોગને જ્યોતિષશાસ્ત્રમાં તમામ અશુભ મુશ્કેલીઓને દૂર કરનારું છે. આ યોગમાં કોઇપણ શુભ કામ કરી શકાય છે. આ સમયે શિવ ઉપાસના, રૂદ્રાભિષેક, મહામૃત્યુંજય મંત્ર, હવન કરવાથી ફાયદો થાય છે.
શિવને ‘ત્ર્યંબક’ પણ કહેવાયા છે
શિવનાં ચિત્રોમાં આપણે અંગ પર લગાવેલી ભસ્મ જે જોઈએ છીએ એ ભસ્મ ભૌતિક માયાઓને ભસ્મીભૂત કરવાનો સૂચક છે. ભસ્મનો શણગાર કરેલા શિવ દુનિયાની માયાથી પર થવાનું સૂચવે છે. શિવને ‘ત્ર્યંબક’ પણ કહેવાયા છે. શિવનાં લલાટ પર રહેલું ત્રીજું નેત્ર એ બહારનું જોવા કરતા ભીતરમાં જોવાનું સૂચક છે. બે આંખોથી આપણે બહારની દુનિયા જોઈ શકીએ છીએ. બાહરી રંગોથી અંજાયેલી બે આંખ મીંચીને આપણા ત્રીજા નેત્રને શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. શિવનાં ત્રીજા નેત્ર નો ઉલ્લેખ આમ તો સંહારના સંદર્ભમાં કથાઓમાં કરવામાં આવ્યો છે પરંતુ એનો અર્થ એ છે કે અંતરમાં અજવાળું રોપવા માટે પહેલા આંખ સામે રહેલા બહારનાં કામ ચલાઉ અજવાળાંઓનો નાશ કરવો અનિવાર્ય છે. સૃષ્ટિની ઉત્પતિ પહેલા બધે જ અંધકાર હતો. અને પછી ઊર્જાના કોઈ વિસ્ફોટથી બ્રહ્માંડનું નિર્માણ થયું એમ માનવામાં આવે છે. સર્વવ્યાપ્ત એવા એ અંધકાર ને પણ ‘શિવ’ માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથોમાં એક વાત એવી લખવામાં આવી છે. કે શિવમાંથી જ બધું સર્જન થયું છે. અને છેવટે શિવમાં જ પાછું એનું વિસર્જન થશે.