"ચોકીદાર જ ચોર છે" આ શબ્દો તમે પાંચ રાજ્યોની ચૂંટણીના પ્રચાર દરમિયાન વારંવાર સાભળ્યા હશે. કોંગ્રેસે ભાજપ પર વેધક પ્રહાર કરીને ભાજપના સુંપડા સાફ કરી નાખ્યા પરંતુ જે રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસે ચોકીદાર ચોર છે એવુ સુત્ર આપ્યુ છે તે રાફેલ ડીલ અંગે સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે કોણ ચોકીદાર અને કોણ ચોર તે નક્કી કરવુ મુશ્કેલ બન્યું છે. ત્યારે શું છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને શું છે વિપક્ષની માગ જોઈએ આ અહેવાલમાં.
દેશના સંરક્ષણ ક્ષેત્રે મજબુતી માટે ભારતને ચોથી અને પાંચમી પેઢીના લડાકુ વિમાનની જરૂર છે. આ માટે યુપીએ સરકારે રાફેલ વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો. ડીલ પુરી થાય અને વિમાન ભારત આવે તે પહેલા જ સરકાર બદલાઈ ગઈ અને ભાજપની સરકાર આવી.
ભાજપ સરકારે પણ વિમાન ખરીદવાના નિર્ણય પર આગળ વધવાનું પસંદ કર્યું પરંતુ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે આ ડીલમાં રાફેલ વિમાનનો ભાવ કોંગ્રેસે નક્કી કરેલી ડીલ કરતા ખૂબ વધારે નક્કી થયો અને આ ડીલમાં ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની કંપનીને રાખી.
કોંગ્રેસ સતત આ ડીલની તપાસ માટે જેસીપી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવાની માગ માટે અડગ છે. રાફેલ ડીલ મામલે સામાજિક કાર્યકરો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટે અરજી પર ચૂકાદો પણ આપ્યો.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોર્ટનું કામ નથી કે તે નક્કી કરવામાં આવેલી કિંમતની તુલના કરે અને રહી વાત ઓફસેટ પાર્ટનરની પસંદગીની તો તે વિક્રેતાની પસંદગી છે સરકારની નહી.
126 રાફેલની જગ્યાએ 36 રાફેલની ખરીદી કેમ કરવામાં આવી તે મામલે કોર્ટ સરકારને ના કહી શકે કે તમે 126 રાફેલ ખરીદો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે આ મામલે તપાસ કરવા માટે સક્ષમ નથી.
રાફેલ મામલે ભલે સુપ્રીમ કોર્ટે અરજીઓ ફગાવી દીધી પરંતુ પ્રશાંત ભૂષણ સહિતના પક્ષકારોએ હાર સ્વિકારી નથી. તેઓ ફરીથી સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરવાનું વિચારી રહ્યા છે.
તેઓનું માનવુ છે કે પ્રધાનમંત્રી મોદીએ વાયુસેનાને પુછ્યા વગર જ ફ્રાન્સ જઈને ડીલ કરી અને ત્યાર બાદ નક્કી કરેલી કિંમત કરતા વધુ કિંમત ચુકવી. રાફેલ ડીલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની અરજીઓ તો વ્યક્તિગત હતી પરંતુ વિપક્ષ તો સંયુક્ત સંસદીય સમિતીની રચના માટે અડગ છે.
વિપક્ષનું કહેવુ છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા જ નથી. કારણ કે સંવિધાનની ધારા 136 અને આર્ટિકલ 32 મુજબ સુપ્રીમ કોર્ટ રાફેલના ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે સક્ષમ નથી કારણ કે સંવિધાનિક મર્યાદા છે. એટલે અમે JCPની માગ કરી છે. જો સરકાર સાચી હોય તો કેમ JCPની રચના કરવાથી ગભરાઈ રહી છે.
કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમા ગાય જ ન હતા. તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ હતુ કે સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ કરાવવા માટે કાયદાકીય રીતે સમક્ષ નથી.
વિપક્ષ ભલે સુપ્રીમ કોર્ટમાં ન ગયુ હોય છતા કોર્ટના ચુકાદા બાદ ભાજપને વિપક્ષ પર સવાલ કરવાનો મોકો મળી ચુક્યો છે. ભાજપે આ મામલે રાહુલ ગાંધએ માફી માગવી જોઈએ તેવી પણ માગ કરી છે. તો વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ફરીથી જેપીસીની માગને દોહરાવી હતી.
સુપ્રીમ કોર્ટે જે અરજીને ફગાવી તે કોઈ પક્ષની નહી પણ વ્યક્તિગત અરજી હતી. સુપ્રીમ કોર્ટમાં સરકાર કે વિપક્ષ સામ સામે હતા જ નહી કારણ કે સુપ્રીમમાં થયેલી અરજી અને વિપક્ષની માગ બન્ને જુદી છે. ચુકાદામાં ના તો કોઈ પક્ષની હાર થઈ છે કે ના તો કોઈની જીત થઈ છે. વિપક્ષ આજે પણ તેની માગ પર અડગ છે ત્યારે રાફેલની લડાઈ પર આગળ શું તે જોવુ રહ્યું.