વડોદરામાં પ્રેરણા સામુહિક દુષ્કર્મ કેસ અને કથિત આપઘાત મામલે પોલીસ 24 દિવસથી તપાસ માટે આકાશ પાતાળ એક કરી રહી છે. જોકે હજુ સુધી કોઇ ખાસ પૂરાવા નથી મળ્યા. ત્યારે હવે પીડિતાની માતાએ પ્રતિક્રિયા આપી છે.
વડોદરા પ્રેરણા દુષ્કર્મ કેસ મામલે આપઘાત બાદનો વીડિયો થયો વાયરલ
હું અંતિમ શ્વાસ સુધી આપઘાતની થિયરી નહીં સ્વીકારુઃ પ્રેરણાની માતા
પોલીસ માત્ર આપઘાતની દિશામાં તપાસ કરે છે: પ્રેરણાની માતા
વડોદરામાં 'પ્રેરણા' સાથે સામૂહિક દુષ્કર્મ મામલે હજુ પણ પોલીસના હાથ ખાલી છે. ઘટનાના 24 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. 'પ્રેરણા'ની હત્યા થઈ હોવાના એંગલ પર નક્કર તપાસ થઇ રહી નથી. દુષ્કર્મની ઘટના બાદ ટ્રેનમાંથી 'પ્રેરણા'નો મૃતદેહ મળ્યો હતો. 'પ્રેરણા'ના મૃતદેહનો વીડિયો સામે આવ્યો હતો. 'પ્રેરણા'ના વીડિયો પરથી હત્યા થઇ હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે હવે વીડિયોને લઇ યુવતીની માતાનું નિવેદન સામે આવ્યું છે.
મારી દિકરીની હત્યા કરીને તેને લટકાવવામાં આવીઃ પ્રેરણાની માતા
ગઈકાલે દુષ્કર્મ પીડિતાનો કથિત આપઘાત બાદનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને લઇ યુવતીની માતાએ કહ્યું કે, કોઈ નાનો છોકરો પણ જોઈ કહી દેશે કે આ આપઘાત નથી. હું અંતિમ શ્વાસ સુધી આપઘાતની થિયરી નહી સ્વીકારુ. મારી દિકરી જીવન જીવવાની કલાની પુસ્તકો વાંચતી હતી. મારી દિકરી કદી આપઘાત ન કરી શકે. મારી દિકરીની હત્યા કરીને તેને લટકાવવામાં આવી છે. પોલીસ જીણવટ ભરી તપાસ કરીને ન્યાય આપે. વલસાડ પોલીસ માત્ર આપઘાતની દિશામાં હાથપગ મારી રહી છે. સમગ્ર કેસમાં હજુ પણ પોલીસ કોઇ નિષ્કર્ષ પર પહોંચી નથી.
સમગ્ર કેસમાં ઓએસીસ સંસ્થા પર શંકાની સોય
તો દુષ્કર્મ કેસમાં SIT પણ કોઇ કડી મળવવામાં નિષ્ફળ રહી છે. બે સિક્યોરિટી ગાર્ડ પાસેથી પણ કોઇ કડી મળી નથી. સમગ્ર કેસમાં ઓએસીસ સંસ્થા પર શંકાની સોય છે. રેલવે ક્રાઇમ અંધારામાં ફાંફા મારી રહી છે. ઓએસીસ સંસ્થા સામે કેમ કડક તપાસ નથી થતી તે મોટો પ્રશ્ન છે. ઓએસીસ સંસ્થાના નેતાઓ અને મોટા અધિકારીઓ સાથે કનેક્શન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. શરૂઆતથી IAS અને IPS અધિકારીઓ સંસ્થા સાથે જોડાયેલા છે. ગુજરાતની જાણીતી વ્યક્તિઓ પણ ઓએસીસ સંસ્થા સાથે જોડાયેલી હતી. 'પ્રેરણા'એ મદદ માટે સંજીવ શાહ પાસે મદદ માગી હતી. સંજીવ શાહ 'પ્રેરણા'ની સ્થિતિ અંગે તમામ બાબતો જાણતા હતા. 'પ્રેરણા'ના મોત બાદ સંસ્થાએ પુરાવા સાથે છેડછાડ કરી હોવાની શક્યતા છે. 'પ્રેરણા'ની ડાયરીના પેજ પણ ફાડવામાં આવ્યા હતા. પુરાવા કોણે નાશ કર્યા તે અંગે કોઇ સ્પષ્ટતા નહીં. રેલવે ક્રાઇમ પોલીસે પુરાવા નાશ કર્યા હોવાનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસ ઘરે ઘરે જઇ કરી રહી છે પૂછપરછ
વડોદરામાં પ્રેરણા સાથે સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસના હાથ હજૂ ખાલી છે. 24 દિવસ બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડી છે. આરોપીને શોધવા માટે પોલીસ હવે ઘરે ઘરે જઈને પૂછપરછ કરી રહી છે. પોલીસે પીડિતાના ઘરથી ઓફિસ સુધીના વિસ્તારમાં પૂછપરછ કરી છે. 2 કિલોમીટરના વિસ્તારમાં આવતા ઘરમાં જઇને પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. રેલવે પોલીસના જવાનો આ અંગે પૂછપરછ કરી રહ્યાં છે. પીડિતાના ઘરથી ઓફિસ સુધીના મકાનો અને દુકાનોમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે રેસ્ટોરન્ટ, ફ્લેટ, લરીવાળા, ભાડુઆતોની પણ વિગતો મેળવી છે. પોલીસે અત્યાર સુધી 350થી વધુ લોકોની વિગતો મેળવી છે. અને પૂછપરછ હાથ ધરી છે. ક્રાઇમબ્રાંચની ટીમો રિક્ષા ચાલકોની બીજી વાર તપાસ શરૂ કરી છે. વિવિધ રિક્ષા સ્ટેન્ડ પર ક્રાઇમ બ્રાંચે પુછપરછ હાથ ધરી છે. 10 દિવસથી નથી આવતા રિક્ષા ચાલકોની યાદી તૈયાર કરાઇ છે. યાદી મુજબ તમામ શોધખોળ હાથ ધરાઇ છે.