સુરતના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ બાદ ડબલ મર્ડર મામલે આરોપી હર્ષસહાય અને હરિઓમ ગુર્જરને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
સુરતના રેપ વિથ ડબલ મર્ડર કેસ મામલો
કોર્ટે 2 આરોપીને દોષિત ઠેરવ્યા
કોર્ટ 7 માર્ચે સજા સંભળાવાશે
સુરતના પાંડેસરામાં માતા-બાળકી પર રેપ બાદ હત્યાના કેસ મામલે કોર્ટે 2 આરોપીને દોષિત ઠેરવ્યા છે. જેમાં કોર્ટે હર્ષસહાય ગુર્જર તથા હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા. આપને જણાવી દઈયે કે, આ કેસની ફરિયાદ સુરતના પાંડેસરા પોલીસ મથકે 6 એપ્રિલ 2018ના રોજ નોંધાઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં આરોપીએ માસૂમ બાળકી અને માતાનો રેપ કરી બાદમાં તેમની હત્યા કરી લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. આ કેસની સુનવણીમાં કોર્ટે બન્ને આરોપીને દોષિત ઠેરવ્યા છે જે બન્ને આરોપીને 7 માર્ચે સજા સંભળાવવામાં આવશે. આ વચ્ચે લોકોની પ્રતિક્રિયા સામે આવી છે, લોકોએ નરાધમોને ફાંસીની માંગ કરી છે.
કેવી રીતે પોલીસે ભેદ ઉકેલ્યો?
સચિન PI કે.બી. ઝાલાએ આ કેસ મામલે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે પાંડેસરામાં ફરજ બજાવતા હતા, તે સમયે 4 દિવસની અંદર જ બાળકી અને માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બન્નેની ઓળખ માટે પોલીસ દ્વારા 6500 પોસ્ટર દેશના તમામ રાજ્યોમાં લગાડીને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમાં સફળતા ન મળી. બાદમાં એક 56 સેકન્ડના CCTV ફૂટેજમાં કાળા કલરની કારની ઓળખ થયા બાદ આખો કેસ ડિટેક્ટ થયો હતો.
આરોપીએ એવા ખુલાસા કર્યા કે પોલીસ પણ ચોંકી ઉઠી
દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી પોલીસના ઝપટે ચડી ગયો હતો. તેની પૂછપરછમાં એવા ખુલાસા થયા કે ખુદ પોલીસ અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઇ. રાજસ્થાનના એક ગામમાંથી માતા અને તેની દીકરીને કામ અપાવવાના બહાને સુરતના કામરેજ ગામે લવાયા હતા. તેને કન્સ્ટ્રક્શન સાઇડ પર કામ અપાવવામાં આવ્યું હતું.
પત્ની સાથે ઝખડો થતા નરાધમે મહિલાને ફાંસો આપી પતાવી દીધી
હર્ષસહાય ગુર્જરે મહિલાને 35 હજાર રૂપિયામાં ખરીદી હતી. તેને પોતાની સાથે પાંડેસરા રહેવા લઈ આવ્યો હતો. જ્યાં બીજી મહિલાના આવવાથી હર્ષ અને તેની પત્ની વચ્ચે ઝઘડાઓ થતાં હતા. જેને લઇને આરોપીએ ગળે ફાંસો આપીને મહિલાની હત્યા કરી નાખી હતી. તેના મૃતદેહને એરપોર્ટ રોડ પર ઝાડીમાં ફેંકી દીધી હતી. તો માસૂમ દીકરીને પોતાના જ ઘરે જ રાખતો હતો. તેમ છતા તે ડરના માહોલમાં હતો જેને લઇને નરાધમે બાળકીની પણ હત્યા કરી નાખી અને ઘરથી થોડે દૂર ફેંકી દીધી હતી. બાળકીનું પોસ્ટમોર્ટમ કરતા તેની સાથે ગંભીર રીતે સતત દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. આ ઘટના સામે આવતા હર્ષ ગુર્જર પરિવાર સાથે પોતાના વતન ચાલ્યો ગયો હતો.