કૃષ્ણનગરમાં બિલ્ડર સુનીલ ભંડેરી સામેના ચકચારી રેપ કેસમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે. કે. રાઠોડની તાત્કાલીક અસરથી પોલીસ કંટ્રોલરૂમમાં બદલી કરી દેવામાં આવી છે.
આરોપી સુનીલ ભંડેરી પાસેથી ૪૫ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ફરિયાદ પોલીસ કમિશનરને થઇ હતી, જેમાં કેસની તપાસ જી-ડિવિઝનના એસીપીને સોંપાઇ હતી. આ ઉપરાંત ગઇ કાલે પીઆઇની બદલી થાય તે પહેલાં તેઓ સુનીલ ભંડેરીના ઘરે ગયા હતા, જ્યાં સુનીલની પત્નીએ કેરોસીન છાંટીને આત્મહત્યાની કોશિશ કરતાં વિવાદ સર્જાયો હતો.
કૃષ્ણનગરમાં એક મહિલાએ બિલ્ડર સુનીલ ભંડેરી વિરુદ્ધ કેફી પદાર્થયુક્ત ચોકલેટ ખવડાવી બળાત્કાર કરવાનો આરોપ કરતી ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. મહિલાએ એવો આરોપ કર્યો છે કે સુનીલ ભંડેરીએ બેભાન કરીને તેનો અશ્લીલ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના કેસમાં પોલીસે સુનીલ ભંડેરીની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જેથી સુનીલને સિવિલની કોવિડ હોસ્પિટલના એ-૨ વોર્ડના બેડ નંબર ૪૯માં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, પરોઢિયે ૫.૦૦ વાગ્યે સુનીલ સિવિલના કોરોના વોર્ડમાંથી ફરાર થયો હતો. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને સીસીટીવી ચેક કર્યા હતા. ફૂટેજમાં આરોપી સુનીલ સરળતાથી ગેટથી બહાર જતો જોવા મળ્યો હતો
સિમ્સ હોસ્પિટલમાંથી આરોપી સુનીલને ગુરુવારે રાત્રે હોમ ક્વોરન્ટાઈન થવા માટે મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાનમાં કૃષ્ણનગર પીઆઈ સહિતનો સ્ટાફ આરોપીના ઘરે પહોંચ્યો હતો. પોલીસની કાર્યવાહીથી રોષે ભરાયેલી બિલ્ડર પત્નીએ કેરોસીન છાંટી સળગી જવાનું કહી હોબાળો મચાવ્યો હતો. આ કેસમાં સુનીલે પીઆઇને ૪૫ લાખ રૂપિયા પીઆઇને આપ્યા હોવાનો આરોપ થતી ફરિયાદ થઇ હતી. રેપ કેસમાં પીઆઇ વિવાદમાં આવતાં ગઇ કાલે તેમની બદલી પોલીસ કંટ્રોલરૂમમાં કરી દેવામાં આવી છે.