સુરતમાં 3 વર્ષની બાળકી ઉપર રેપ કરી તેને મોતને ઘાટ ઉતારનાર નરાધમને 29મી ફેબ્રુઆરીએ સાબરમતી જેલમાં ફાંસીને માંચડે લટકાવવામાં આવશે. 66 વર્ષો બાદ સાબરમતીમાં ફાંસીની કોટડીને તૈયાર કરવામાં આવી રહી છે.
સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી કરી હતી હત્યા
શું છે કેસ?
સુરતમાં બાળકી રેપીસ્ટ અને મર્ડરર અનિલ યાદવને ફાંસી માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ફાંસીના સેલનું પણ સમારકામ અને કલરકામ શરૂ કરી દેવાયું છે. લીંબાયતમાં રહેતો 26 વર્ષિય આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો. ત્યાર બાદ પોલીસે અનિલ યાદવને ઝડપી પાડ્યો હતો.
સાબરમતી જેલમાં છેલ્લે ક્યારે અપાઈ હતી ફાંસી
સાબરમતી જેલમાં છેલ્લે વર્ષ 1953માં કાના પરબતને ફાંસી આપવામાં આવી હતી ત્યાર પછી ફાંસી આપવાની કોઇ ઘટના બની નથી. આ કારણોસર જ જેલમાં ફાંસીની ઓરડી જર્જરીત હાલતમાં છે. આ જોતાં સાબરમતી જેલમાં 66 વર્ષ બાદ ફાંસી આપવાની ઘટના બનશે. અત્યારે તો જેલ સત્તાધીશોએ ફાંસી આપવાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા દોડધામ મચાવી છે. જેલમાં ફાંસીની કોટડીને હાઉસીંગ બોર્ડ દ્વારા રીપેર કરવામાં આવી રહી છે. આમ,વર્ષો બાદ અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસી અપાશે.
જલ્લાદને બીજા રાજ્યમાંથી બોલાવાશે
પંજાબ, હરિયાણા,ઉત્તરાખંડ સહિત અન્ય રાજયની જેમ ગુજરાતમાં વર્ષોથી જલ્લાદ જ નથી. આ જોતાં આરોપીને ફાંસી આપવા માટે નિર્ભયા કેસમાં ય મેરઠના પવન જલ્લાદની મદદ લેવાઇ હતી. હવે ગુજરાતના જેલ સત્તાધીશોએ પણ જલ્લાદ માટે તિહાર અને યવરડા જેલનો સંપર્ક સાધ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં રાજકોટ અને વડોદરામાં જેલમાં ફાંસી અપાઇ ત્યારે યરવડા જેલમાંથી જ જલ્લાદ બોલાવાયા હતાં.