ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ રવિવારે ખુલાસો કરતા કહ્યું હતું કે તેઓ આવતા વર્ષની આસામની ચૂંટણીમાં CM પદના ઉમેદવાર બનવાની કોઈ યોજના ધરાવતા નથી.
રાજ્યસભાના સભ્ય અને પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ રાજકારણી નથી અને તેમને રાજકારણમાં ઝંપલાવવાની કોઈ ઈચ્છા નથી. આવી કોઈ શક્યતા વિષે મને કોઈએ કોઈ જાણ કરી નથી.
તેમણે તેમના રાજ્યસભાના સભ્યપદ વિષે વાત કરતા કહ્યું હતું કે આ પગલું તેમની રાજકારણમાં એન્ટ્રી નથી. તેમણે કહ્યું હતું કે આ દુઃખદ વાત છે કે લોકો રાજ્યસભાના નોમિનેટેડ સભ્ય અને રાજકીય પક્ષોના ચૂંટાયેલા સભ્યો વચ્ચેનો ફરક જાણતા નથી. હું રાજ્યસભાનો નોમિનેટેડ સભ્ય છું. રાજ્યસભા મને મારા રસ અને જ્ઞાન મુજબ કામ કરવાની છૂટ આપે છે. આમ કરવાથી મારી સ્વતંત્રતા જળવાઈ રહે છે. શું આમ કરવાથી હું રાજકારણી બની ગયો?
22 ઓગસ્ટના રોજ આસામના પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર કોંગ્રેસ લીડર તરુણ ગોગોઈએ કહ્યું હતું કે રંજન ગોગોઈએ કદાચ આવતા વર્ષની આસામની ચૂંટણીમાં CM પદના ઉમેદવાર હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે તેમના સૂત્રો તરફથી તેમને માહિતી મળી છે કે રંજન ગોગોઈ ભાજપના CM પદના ઉમેદવારોના લિસ્ટમાં છે.
તરુણ ગોગોઈનો દાવો હતો કે ભાજપ રંજન ગોગોઈના રામ મંદિરના ચુકાદાથી ખુશ છે અને તેથી તેમને તેમની નિવૃત્તિ પછી રાજ્યસભાના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. રંજન ગોગોઈ પોતે આ પદ માટે ના પાડી શક્યા હોત પણ તેઓએ આ પદ સ્વીકારી લીધું જે દર્શાવે છે કે તેઓ રાજકારણમાં રસ ધરાવે છે.
આસામના ભાજપના યુનિટે આ તમામ બાબતોને પાયાવિહોણી ગણાવી છે. આસામ ભાજપ પ્રમુખ રણજીતકુમાર દાસના જણાવ્યા પ્રમાણે આ વાત બિલકુલ તથ્ય વગરની છે અને તેમણે કહ્યું હતું કે તરુણ ગોગોઈ તેમની મોટી ઉંમરની અસરને કારણે અર્થ વગરના નિવેદનો આપી રહ્યા હોય તેવું લાગે છે.