સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી કે રમજાન દરમિયાન સવારે સાત વાગ્યાના બદલે સવારે 5 વાગે મતદાન શરૂ કરવામાં આવે. પણ સુપ્રીમ કોર્ટે આ મામલે થયેલી અરજી રદ કરી છે. મુસ્લિમ સમાજને મતદાનમાં કોઈ મુશ્કેલી ઉભી ના થાય તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી.
ચૂંટણી પંચના સુત્રોના જણાવ્યા મુજબ, મતદાન અધિકારીઓ પહેલા જ વધેલા કલાકોમાં કામ કરી રહ્યા છે, સાથો સાથ દરેક રાજ્યમાં સૂર્યોદયનો સમય અલગ અલગ હોય છે. તેવામાં સૂર્યોદય પહેલા વોટિંગ શરૂ થયા તો વધુ સુરક્ષા વ્યવસ્થા અને તંત્રમાં બદલાવ કરવા પડે જે શક્ય નથી.
જોકે 10 માર્ચે જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારી અરોડાએ ચૂંટણી તારીખોની જાહેરાત કરી હતી, તે સમયે પણ રમઝાનમાં મતદાનને લઇને સવાલો ઉઠ્યા હતા. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે રમઝાનના સમગ્ર મહિના માટે ચૂંટણી સ્થગિત કરવી સંભવ ન હતી, એટલા માટે મુખ્ય તહેવારોના દિવસો અને શુક્રવારોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
ચૂંટણી પંચની આ દલીલ વિરૂદ્ધ વકીલ નિઝામુદ્દીન પાશાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને માંગ કરી છે કે રમઝાન દરમિયાન મતદાનનો સમય સવારે 7 કલાકથી બે કલાક એટલે 5 કલાક કરવામાં આવશે. 2 મેના રોજ આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ અરજી પર વિચાર કરવા માટે કહ્યું હતું.
જણાવી દઇએ કે આ વર્ષે 7 મેથી રમઝાન શરૂ થયો છે. જ્યાર બાદ 12 મે એટલે છઠ્ઠા તબક્કાના મતદાન રમઝાન દરમિયાન થયું છે. હવે 19 મેના રોજ 59 લોકસભા બેઠકો પર અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. જે પહેલા સમય બદલવાની માંગ કરનારી અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે.