કોરોના વાયરસની મહામારીને લઇને સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે આ લોકડાઉનને લઇને વડોદરામાં પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. DGP શિવાનંદ ઝાના આદેશનું પોલીસ દ્વારા કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ વડોદરા પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. વડોદરાના નાગરવાડામાં રમઝાન માસની શેરીનો સમય પૂર્ણ થયા બાદ ઘરમાં જવા સમજાવવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો.
વડોદરાના રેડ ઝોન નાગરવાડામાં પોલીસ પર હુમલો
પોલીસે ટોળાંને ઘરમાં જવાનું કહેતા કર્યો હુમલો
રમઝાન માસના પગલે મસ્જિદ પાસે ભેગુ થયું હતું ટોળું
નાગરવાડા વડોદરામાં રેડ ઝોનમાં છે. ત્યારે વડોદરાના નાગરવાડા કાસમઆલા મસ્જિદ પાસે બેસેલા ટોળાંને પોલીસે ઘરમાં જવાનું કહ્યું હતું. જેને લઇને આ ટોળાંએ ઉગ્ર થઇને હુમલો કર્યો હતો. પવિત્ર રમઝાન માસ સાલી રહ્યો છે ત્યારે સવારે 5 વાગ્યે શેરીનો સમય પૂર્ણ થઇ ગયો હોવાથી બહાર ન બેસવા માટે સમજાવવા ગયેલી પોલીસ પર આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો.
પોલીસ ફોર્સ દ્વારા આ વિસ્તારમાં સઘન ચેકિંગ
જોકે પોલીસે કાર્યવાહી કરતા 10 તોફાની તત્વોને ઝડપી લીધા હતા. જ્યારે હજુ 7 આરોપીઓ ફરાર છે. પચાસના ટોળા વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે આ ટોળું ભેગુ થયું હતું.