રામાયણ યુગને યાદ કરાવતા રામવનનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે લોકાર્પણ, અન્ય વિકાસના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરાશે
રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે રામવન ખુલ્લુ મુકાશે
28 ઓગસ્ટ સુધી રામવનમાં અપાશે નિઃશુલ્ક પ્રવેશ
17 ઑગષ્ટે સીએમના હસ્તે કરાશે લોકાર્પણ
શ્રાવણમાસના પવિત્ર દિવસોમાં રાજકોટમાં આજીડેમની બાજુમાં 9.30 કરોડના ખર્ચે બનાવેલુ રામવનનું લોકાર્પણ થશે. સાતમ આઠમના તહેવારોમાં તમે રામવનમાં ફરી શકશો. કારણ કે 17 ઑગષ્ટના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રામવનને ખુલ્લુ મુકાશે. સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને 28 ઓગસ્ટ સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.
અન્ય વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ
મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રામ વન અર્બન ફોરેસ્ટ, ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, 23 ઇલેક્ટ્રિક બસનું તેમજ વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત 17 ઑગષ્ટના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સૌરાષ્ટ્રના લોકમેળાનું ખુલ્લો મૂકવાના છે જેને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
11.63 કરોડના ખર્ચે ઇ બસનું ચાર્જિંગ સ્ટેશન
આ ઉપરાંત 80 ફૂટ રોડ ખાતે રૂ.11.63 કરોડના ખર્ચે 15200 ચો.મી.માં ઇલેક્ટ્રિક બસ માટેનું ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ ચાર્જીંગ સ્ટેશનમાં 3100 વોટનું HT વીજ કનેક્શન, 2500 વોટનું ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, 240 કિલો વોટના 14 ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વગેરે સહિતની સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે.
રામ વનમાં શું છે ખાસ ?
રામવનની વિશેષતાની વાત કરીએ તો અહીં તીર આકારનો વિશાળ મુખ્ય ગેટ બનાવાયો છે. આ ઉપરાંત રામાયણના પ્રસંગો જેવા કે વનવાસ, ચાખડી, સંજીવની પહાડ, રામ રાજયાભિષેક સહિતના સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની જીવંત લાગે તેવી મોટી પ્રતિમાઓ બનાવવામાં આવી છે. જુદા જુદા પ્રકારના સ્કલ્પચર સાથે પાથ-વે અને લાકડાના પુલ પણ બન્યા છે.
કુદરતની નજીક હોવાનો થશે અનુભવ
કુલ 1.92 લાખ ચો.મી. જગ્યામાં 3.4 કિલોમીટરના વિશાળ રસ્તા બનાવાયા છે. 2450 મીટરની કમ્પાઉન્ડ વોલ અંદર બે મોટા તળાવ છે. કુદરતી પાણીના સ્ત્રોતનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. રામસેતુ ઉપરાંત પ્લે ગ્રાઉન્ડ, એમ્ફી થિયેટર, રાશિવન, સોલાર લાઇટ વગેરે સાથે પિકનિક પોઇન્ટ અને ધાર્મિક અનુભૂતિનો અનુભવ કરાવતી આ વિશેષ જગ્યા છે.
રામવનમાં આકર્ષણનું કેન્દ્ર શું ?
47 એકરમાં રામવનનું નિર્માણ થયુ છે.
13.77 કરોડના ખર્ચે રામવનનું નિર્માણ કરવામાં આવ્યું
ભગવાન રામના જીવન પર જુદી જુદી પ્રતિકૃતિઓ રૂ.1.61 કરોડના ખર્ચે
80 હજાર પ્રજાતિના વિવિધ વૃક્ષો
25 જેટલા બ્લોકમાં કરાયુ છે પ્લાન્ટેશન
2 બ્લોકમાં મીયાવાકી થીમ બેઇઝ પ્લાન્ટેશન
30 ફૂટની ભગવાન શ્રીરામની પ્રતિમા
ભગવાન શ્રીરામની ચરણ પાદુકા
હનુમાનજીની 25 ફૂટની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર
રાશિવન જેમાં મુલાકાતીની રાશિ મુજબ ક્યું વૃક્ષ વાવેતર કરવું તેની માહિતી
ધનુષ્ય અને બાણ આકાર સાથેનો વિશાળ પ્રવેશદ્વાર
120 આર્ટિસ્ટિક બેન્ચ જેમાં લોકો બેસી પ્રકૃતિની મજા માણી શકે