બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / ગુજરાતનું એ ગામ કે જ્યાં 225 વર્ષથી નથી થતી હોળીની ઉજવણી, આજે પણ ઘટનાના ઘા તાજા
Last Updated: 10:15 AM, 13 March 2025
પ્રિયકાન્ત શ્રીમાળી : આજે આખુ ગુજરાત હોળી ઉજવી રહ્યું છે. આજના દિવસે સાંજે હોળિકા દહન થશે, જેમાં બુરાઈઓનું પણ દહન થવાની માન્યતા છે. હોળિકા દહન પૌરાણિક રીતે મહત્વનું હોવાની સાથે સાથે ખેડૂત માટે પણ મહત્વનું છે. કારણ કે આપણે ત્યાં હોળીની ઝાળ પરથી ચોમાસું કેવું રહેશે તેનો વરતારો કરવામાં આવે છે. પરંતુ આટલા મહત્વના હોળી પર્વની ગુજરાતના એક ગામમાં ઉજવણી જ નથી થતી. આજથી નહીં છેલ્લા 225 વર્ષથી ગુજરાતના આ ગામના લોકોએ હોળિકા દહન કર્યું નથી. તમને કદાચ માનવામાં નહીં આવે, પરંતુ આ ઘટના આપણી નજીક જ બની રહી છે.
ADVERTISEMENT
225 વર્ષની નથી થતી હોળીની ઉજવણી
હોળીનો તહેવાર આમ તો ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં સૌથી વધારે ઉજવાય છે. રાજસ્થાનથી રોજગાર અર્થે ગુજરાત આવતા લોકો એક સમયે દિવાળી પર પોતાના વતનમાં ન જાય પણ હોળી વખતે તો વતનમાં જતાં જ હોય છે. આ રાજસ્થાનને અડીને આવેલો છે આપણો બનાસકાંઠા જિલ્લો. બનાસકાંઠામાં બટાકા નગરી તરીકે ઓળખાતું ડીસા અને આ તાલુકામાં આવેલ રામસણ ગામ. જ્યાં લગભગ છેલ્લા 225 વર્ષની હોળીની ઉજવણી નથી થતી. આ પાછળનો ઇતિહાસ એ ખરેખર ચોંકાવનારો છે. હવે તમારા મનમાં સવાલ થાય કે હોળીના દિવસે આ રામસણ ગામના લોકો શું કરે છે? આ સાથે ધૂળેટીના દિવસે પણ પરંપરા મુજબ ઉજવણી કરે છે કે કેમ? આવા જ સવાલો અમને પણ થયા, અને અમે તેમના જવાબ મેળવવાની કોશિશ કરી.
ADVERTISEMENT
કેમ રામસણમાં નથી ઉજવાતી હોળી?
ડીસા તાલુકાના રામસણ ગામના સામાજિક આગેવાન વાઘેલા સુમેરસિંહ સાથે અમે વાત કરતાં ગામનો ઇતિહાસ અને હોળી ન ઉજવવાનું કારણ ખ્યાલ આવ્યું. સુમેરસિંહના કહેવા પ્રમાણે,'અમારા ગામનું પૌરાણિક નામ રામેશ્વર છે, એવું પણ કહેવાય છે કે, ભગવાન શ્રીરામે અહીંયા આવીને પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 12 હજારની વસ્તી છે. તેમણે કહ્યું કે, અમારા ગામમાં અંદાજે 225 વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી, પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી. હોળિકા દહન માટે લાગેલી આગે આખા ગામનો ભરડો લીધો અને મોટી સંખ્યામાં ઘર આ આગમાં બળીને ખાક થઈ ગયા. લોકોના માથેથી છત જતી રહી, મહેનત મૂડી પણ બળી ગઈ. રાતો રાત ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય કંઈ જ ન બચ્યું. મોજમજાના પર્વનો દિવસ ગામમાં સન્નાટો લઈને આવ્યો. બસ તે ઘડી અને આજનો દિ', આ ઘટનાથી ગામલોકો એટલા ગભરાયા કે ત્યારથી આજ સુધી ગામમાં હોળીની ઉજવણી નથી થતી, હોળિકા દહન નથી થતું.
ગામ લાગેલી આગના આજે પણ પુરાવા ?
સામાજિક આગેવાન વાઘેલા સુમેરસિંહે જણાવ્યું હતું કે, અમારા ગામમાં વર્ષો પહેલા લાગેલી આગમાં આખું ગામ બળીને ખાખ થઈ ગયું હતું. વર્ષો પહેલા હોળી પ્રગટાવવાની સાથે ગામમાં આગ લાગી અને તેના પુરાવા આજે પણ ગામમાં મળી આવે છે. વાઘેલા સુમેરસિંહનું કહેવું છે કે, આજે પણ કોઈ ખોદકામ થાય ત્યારે જમીનમાંથી કોલસા કે રાખ જોવા મળે છે. આ ગામમાં આજે પણ હોળી જેવા પવિત્ર પર્વ ને ગ્રામજનો અશુભ માની રહ્યા છે અને હોળીના દિવસે હોળી પ્રગટાવવાની જગ્યાએ મંદિરમાં નાળિયર મૂકી દર્શન કરી પ્રસાદી વહેંચી આ પર્વની ઉજવણી કરે છે.
અન્ય એક પણ છે લોકવાયકા
રામસણ ગામમાં વર્ષો અગાઉ આગ લાગવા પાછળ અન્ય એક લોકવાયકા પણ છે. લોકવાયકા મુજબ વર્ષો અગાઉ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો એ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે, હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે. જે બાદમાં હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી ગઈ હતી અને આ ગામના અનેક ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં. આ ઘટના બાદ ફરી બે વાર ફરી હોળી મનાવવા માટે પ્રયાસ કરાયો પરંતુ ત્યારે પણ ગામમાં આગ લાગી હતી. આ તરફ આખું ગામ આગની ચપેટમાં આવી ગયું હતું. જેને લઈ ગામના લોકોએ ભેગા થઈ હોળી પર પ્રતિબંધ ફરમાવી દીધો અને એ ઘડીને આજનો દિવસ રામસણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઘટના / જૂનાગઢમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત, સેફ્ટી ટેંક સાફ કરતા સમયે બની ઘટના
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.