બનાસકાંઠાના ડીસાનું એક ગામ કે જ્યાં હોળી ઉજવાય તો ભડકે બળે છે ગામ, 200 વર્ષથી નથી ઉજવતા હોળી
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં અલગ પ્રથા
રામસણ ગામમાં હોળીની ઉજવણી થતી નથી
200 વર્ષથી હોળી ઉજવવી નથી
ખાસ કરીને હોળીનો તહેવાર સૌથી વધારે રાજસ્થાનમાં ઉજવાય છે, ત્યારે ગુજરાતની રાજસ્થાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું એક એવું ગામ છે કે, જ્યાં આજે પણ હોળીનો તહેવાર ઉજવાતો નથી. આ ગામમાં હોળીનો દિવસ માતમમાં ફેરવાઈ જાય છે. તેની પાછળનું રહસ્ય જાણવા વીટીવી ન્યૂઝે પ્રયાસ કર્યો તો ચોંકાવનારુ કારણ સામે આવ્યું.
200 વર્ષથી નથી ઉજવાતી હોળી
હોળીનો તહેવાર આમ તો ખાસ કરી રાજસ્થાનનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી લોકો ગુજરાતમાં જ હોળીના તહેવારની ઉજવણી કરે છે. જેથી તેમની સાથે ગુજરાતના લોકો પણ હોળીની પરંપરાગત રીતે ઉજવણી કરે છે, પરંતુ આજે આપણે ગુજરાતના એક એવા ગામની વાત કરીશું, જ્યાં 200 વર્ષથી હોળી ઉજવવામાં આવતી નથી, .આ છે ડીસા તાલુકાનું રામસણ ગામ. આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામ એ અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ ૧૦ હજારની વસ્તી છે અને આ ઐતહાસિક ગામમાં બસ્સો સાત વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા
શું છે લોકમાન્યતા ?
ગામમાં આગ લાગવા પાછળ એક લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો એ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે ત્યાર બાદ હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી ગઈ હતી અને આ ગામના અનેક ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં, ત્યારબાદ ફરી બે વાર ફરી હોળી મનાવવા માટે પ્રયાસ કરાયો પરંતુ ત્યારે પણ ગામમાં આગ લાગી હતી. આખું ગામ આગની લપેટમાં આવી ગયું હતું. બાદમાં આ ગામના લોકોએ ભેગા થઈ હોળી પર પ્રતિબંધ ફરમાવી દીધો , અને ત્યાર થી આજ સુધી રામસણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.
મંદિરમાં નારિયેળ મુકીને વહેંચે છે પ્રસાદી
વર્ષો પહેલા શ્રાપના કારણે હોળી પ્રગટાવવાની સાથે ગામમાં આગ લાગતી હતી. તેના પુરાવા આજે પણ ગામમાં મળી આવે છે. કોઈ ખોદકામ થાય ત્યારે જમીનમાંથી કોલસા કે રાખ આજે પણ જોવા મળે છે જેથી ગામના વડવાઓએ કહેલી વાત ને આજે પણ ગામના યુવાનો માને છે. ઋષિ ના શ્રાપ ના કારણે આ ગામમાં આજે પણ હોળી જેવા પવિત્ર પર્વ ને ગ્રામજનો અશુભ માની રહ્યા છે , અને હોળી ના દિવસે હોળી પ્રગટાવવાની જગ્યાએ મંદિરમાં નાળિયર મૂકી દર્શન કરી પ્રસાદી વહેંચી આ પર્વ ની ઉજવણી કરે છે .