આંકલાવ તાલુકાના આસરમા ગામમાં આવેલી રામપુરા પ્રાથમિક શાળાની હાલત ખસ્તા, કોન્ટ્રાક્ટરનું નિધન થતાં શાળાના નિર્માણનું કામ 4 વર્ષથી ઠપ્પ
પાકી છતની રાહ જોતી શાળા
શું આ છે આપણું શિક્ષણ મોડલ?
ઝળુંબતા મોત નીચે ભવિષ્યના પાઠ
આમ તો આપણી રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષણના ગુજરાત મોડેલને શ્રેષ્ઠ ગણાવે છે. પરંતુ શિક્ષણ તો દૂરની વાત પણ શાળાના સુરક્ષિત ઓરડા પણ માં ઉપલબ્ધ કરાવી શકી નથી. જેનું તાજું ઉદાહરણ શિક્ષણનગરી તરીકે ઓળખાતા જિલ્લા આણંદમાં જ જોવા મળી રહ્યું છે. આણંદ જિલ્લા ના આંકલાવ તાલુકાના આસરમા ગામમાં આવેલી રામપુરા પ્રાથમિક શાળા છેલ્લાં ચાર વર્ષથી પાકી છતની રાહ જોઈ રહી છે. અને વિદ્યાર્થીઓ ઝળુંબળતા મોત નીચે ભણવા મજબૂર છે.
આણંદ જિલ્લાની શાળાની વાસ્તવિકતા
હા. માથે તૂટી ગયેલી છત અને વરસાદના પાણી ભીંજાતાં બચાવવા ઢાંકેલી આ એલઈડી ટીવી અને તિજોરીઓ. ના આ દ્રશ્યો કોઈ સરકારની તજી દેવાયેલી ઇમારતના નથી. પરંતુ આ દ્રશ્યો આપણા રાજ્યના શિક્ષણનગરી તરીકે જાણીતા આણંદ જિલ્લાની એક સ્કૂલના છે. આમ તો આપણી રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષણના ગુજરાત મોડેલને શ્રેષ્ઠ ગણાવે છે. પરંતુ શિક્ષણ તો દૂરની વાત પણ શાળાના સુરક્ષિત ઓરડા પણ માં ઉપલબ્ધ કરાવી શકી નથી.
7માંથી 4 ઓરડા જર્જરિત, 231 વિદ્યાર્થી વચ્ચે માત્ર 3 ઓરડા
આપ જે જર્જરિત શાળાને જોઈ રહ્યા છો તે દ્રશ્યો સુખી સંપન્ન અને શિક્ષણ નગરી તરીકે જાણીતા આણંદ જિલ્લા ના આંકલાવ તાલુકા ના આસરમા ગામમાં આવેલી રામપુરા પ્રાથમિક શાળાના છે. રામપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના વર્ગો ચાલી રહ્યા છે. અહીં પાયાની સુવિધાઓ તો ઠીક પણ પૂરતા વર્ગ ખંડો પણ નથી. આથી શાળા બે શિફ્ટમાં ચલાવવા શિક્ષકો મજબૂર છે. આ શાળાના 7 ઓરડા માંથી 4 ઓરડા અતિ જોખમી છે. અહીં ધોરણ 1 થી 8 માં 231 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 231 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 3 ઓરડા છે. પૂરતા ઓરડાના અભાવે વિદ્યાર્થીઓ બે પાળીમાં અભ્યાસ કરવા મજબૂર છે. એટલુ જ નહીં, અહીં આવેલી આચાર્યની ઓફીસ જોઈને પણ આપ ચોંકી જશો. કોઈ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડને ફાળવવામાં આવી હોય તેવી કેબિન જેટલી જગ્યામાં અહીં આચાર્યની ઓફીસ આવેલી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત.?
આમાં ક્યાં ભણે ગુજરાત?
આપને જણાવી દઈએ કે, આ જર્જરિત શાળાને તોડીને નવી શાળા બનાવવા માટે ચાર વર્ષ પહેલા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી અને સ્થાનિક નેતા દ્વારા ખાત મુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાક્ટરનું નિધન થતાં શાળાના નિર્માણનું કામ ખોંરભે ચડી ગયું. જેને આજે ચાર વર્ષ બાદ પણ તંત્રને બીજો કોઈ કોન્ટ્રાક્ટર મળ્યો નથી. મોટા શહેરોમાં બુલેટ ટ્રેનના કામો ઝડપી પૂરા કરાવી શકતી સરકારના ધ્યાનમાં આ શાળાની ચાર વર્ષ જૂની સમસ્યા કેમ નહીં આવતી હોય તે એક સવાલ છે. સમજ્યા કે સરકારના ધ્યાનમાં આ વાત ન આવી હોય તો કોંગ્રેસના ધારાસભ્ય અને એકસમયના વિપક્ષનેતા તો આ વિસ્તારના છે તો તેઓ પણ રામપુરાની આ પ્રાથમિક શાળાના અટકેલા કામ પૂરા કરાવવાનો મુદ્દો કેમ ઉઠાવતા નથી. એ પણ એક સવાલ છે ??
હાલતો રામપુરાની આ પ્રાથમિક શાળા માં 231 બાળકો જીવના જોખમે અહીં બે પાળીમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આશા રાખીએ કે કોઈ દુર્ઘટના ન ઘટે અને વહેલી તકે તંત્રની આંખ ખૂલે અને આ પ્રાથમિક શાળા નું અધૂરું કામ જલદી પૂર્ણ થાય.