રાજ્યના મહાનગરોમાં કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે ત્યારે તાજેતરમાં રાજકોટ સ્થિત રામકૃષ્ણ આશ્રમના 10 સંન્યાસીઓ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
રાજકોટમાં કોરોના ફરી વકર્યો
રામકૃષ્ણ આશ્રમમાં 15 કોરોનાના કેસ
10 સંન્યાસી,5 કર્મચારીઓને કોરોના
મળતી વિગતો પ્રમાણે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણ પરમહંસ આશ્રમમાં રહેતા 10 સંન્યાસીઓ તથા 5 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો હતો.
સંસ્થાના વડા નિખિલેશ્વરાનંદ સ્વામી પણ થયાં કોરોના પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે, આ સંન્યાસીઓ પૈકી સંસ્થાના વડા નિખિલેશ્વરાનંદ સ્વામી પણ કોરોના પોઝિટિવ થયાં છે અને સાવચેતીના પગલારૂપે રામકૃષ્ણ આશ્રમમાં નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને મુખ્ય તાબડતોબ બંધ કરાયા છે.
ગઇકાલે રાજ્યમાં 715 દર્દીઓ નોંધાયા છે
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, ગઇકાલે 715 નવા દર્દી જ્યારે 495 દર્દીઓ સાજા થયાં છે. અમદાવાદ અને સુરતમાં 1-1 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે.
એક્ટિવ કેસમાં થઇ રહ્યો છે ચિંતાજનક વધારો
ઉલ્લેખનીય છે કે, રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 4006 એક્ટિવ કેસ છે. તો હાલ 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.95 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,68,196 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4420 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
મહાનગરોમાં જાણો કેટલા કેસ નોંધાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 141 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 91 કેસ, જ્યારે ગ્રામ્યમાં 26 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 58 કેસ અને ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા છે.
સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો
સુરત શહેરમાં 183 કેસ અને ગ્રામ્યમાં 13 નવા કેસ સાથે ગુજરાતમાં સૌથી વધુ કેસ સુરત જિલ્લામાં નોંધાયા છે. સુરતમાં કોરોના ભયાનક બનતો જાય છે. શહેરમાં જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે.
મહત્વનું છે કે, ગઇકાલથી જ સુરત મહાપાલિકાએ શાળાઓમાં ટેસ્ટિંગ હાથ ધર્યું છે. 50 શાળાઓમાં 2 હજાર 746 લોકોના ટેસ્ટ કરાયા છે. 5 શિક્ષકો, 12 વિદ્યાર્થી મળીને 17 કેસ કોરોના સંક્રમિત આવ્યા છે. બહારગામથી આવતા લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઈન કરાશે.
મનપા વિસ્તારોમાં ધૂળેટીની ઉજવણી પર મુકાયો પ્રતિબંધ
કોરોનાના વધતા કેસને લઈને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારોમાં ધૂળેટીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટના મહાનગરપાલિકા વિસ્તારમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં ધૂળેટીની ઉજવણી નહીં થઇ શકે.
ગ્રામ્ય વિસ્તારમાં અપી શકે છે છૂટછાટ
તો આ અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે અને ગ્રામીણ વિસ્તારોમાં ધૂળેટી ઉજવણી માટે આંશિક છૂટછાટ આપવામાં આવી શકે છે.