પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ ભારત પાકિસ્તાનના ક્રિકેટ સંબંધો અને રમત પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હવે ભારતીય ટીમ પણ પાકિસ્તાની ટીમને માન આપવા લાગી છે.
ભારત અને પાકીસ્તાનની મેચને લઈને કહી મહત્વપૂર્ણ વાત
પાકિસ્તાન વર્લ્ડ કપમાં પહેલા અંડરડોગ માનવામાં આવતું હતું
T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવાની છે. T20 વર્લ્ડ કપ 2021માં ભારતને પાકિસ્તાનના હાથે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો, હવે અહીં તક છે કે ભારત તે હારનો બદલો લઈ લેશે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ બંને દેશોના ક્રિકેટ સંબંધો અને રમત પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
માત્ર મેદાની નહી, માનસિક લડાઈ પણ
રમીઝ રાજાનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર મેદાન પરની નહી પરંતુ એક માનસિક લડાઈ પણ છે, જેમાં જીતવું ખૂબ મુશ્કેલ છે. પાકિસ્તાન પહેલા વર્લ્ડ કપમાં અંડરડોગ માનવામાં આવતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાવા લાગી છે. રમીઝ રાજાનું કહેવું છે કે હવે ભારતીય ટીમ પણ પાકિસ્તાની ટીમને માન આપવા લાગી છે.
પાકિસ્તાનને પણ ક્રેડીટ આપવી જોઈએ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે કહ્યું કે આ કૌશલ્ય અને ટેલેન્ટ કરતાં વધુ માનસિક લડાઈ છે, જો તમે મજબૂત છો તો તમે આ મેચ જીતી શકો છો. વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હંમેશા અંડરડોગ માનવામાં આવતું હતું, પરંતુ હવે ભારતે અમને સન્માન આપવાનું શરૂ કર્યું છે. રમીઝ રાજાએ કહ્યું કે પાકિસ્તાનને ક્રેડીટ આપવી જોઈએ, કારણ કે અમે સતત સારું કરી રહ્યા છીએ અને અબજ ડોલરની ક્રિકેટ ટીમને હરાવી રહ્યા છીએ. અમારી પાસે ભારત કરતાં ઓછા સંસાધનો છે, તેમ છતાં અમે તેમની ટીમને હરાવી રહ્યા છીએ.
23 ઓક્ટોબરે મેલબોર્નમાં ટકરાશે બન્ને ટીમ
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી ન હોવા છતાં પણ બંને ટીમો ICC ઈવેન્ટ્સમાં એકબીજાનો સામનો કરે છે. હાલમાં જ એશિયા કપમાં બંને ટીમો આમને સામને આવી હતી, ત્યારબાદ એક મેચમાં ભારત અને એક મેચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. હવે દરેકની નજર 23 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાનાર મેચ પર ટકેલી છે, જે આ વર્લ્ડ કપમાં બંને ટીમોની પ્રથમ મેચ હશે.