કથાકાર રમેશ ઓઝાએ મોરબી નગરપાલિકા અને ગૌપાલકોને ટકોર કરી છે. તેઓએ જણાવ્યું કે, ગામના જોખમે અને ખર્ચે પશુપાલકોએ દૂધ પીવાનુ બંધ કરવું જોઇએ, ગૌ સેવા કર્યા વગર તેનુ દૂધ પીશો તો તે પચશે નહીં.
મોરબીની ગંદકી અને અવ્યવસ્થા જોઇ રમેશ ઓઝાએ વ્યક્ત કરી નારાજગી
મોરબીને સ્વચ્છ રાખવા નગરપાલિકાના પ્રમુખને કર્યો અનુરોધ
નગર-નગરના રસ્તા-રસ્તા ગૌશાળા બની ગયા છે: રમેશ ઓઝા
મોરબી ખાતે કોરોના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા પરિવાર દ્વારા આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. ત્યારે આજે આ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી કથાકાર રમેશ ઓઝાએ મોરબીની ગંદકી અને અવ્યવસ્થા જોઇને નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ મોરબીને સ્વચ્છ રાખવા નગરપાલિકાના પ્રમુખને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ગૌવંશને રસ્તા પર રઝડતા છોડી દેનાર પશુપાલકો આડેહાથે લીધા હતા.
મોરબીને સ્વચ્છ રાખવા નગરપાલિકાના પ્રમુખને અનુરોધ
કથાકાર રમેશ ઓઝાએ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આવેલા મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારને કહ્યું કે, 'મહિલાઓને માતૃશક્તિને તો ઘરમાં ક્યાંક કચરો હોય તો સહન થવો જ ન જોઈએ. હવે તમે નગરપાલિકાના પ્રમુખ છો, તો મોરબી તમારું ઘર જ છે. આપણા ઘરમાં ક્યાંય ગંદગી હોય એ આપણને જરાય બરદાસ્ત ન થવી જોઈએ. હું આશા કરું છું અને હું તમને અનુરોધ પણ કરું છું તથા મને ભરોસો પણ છે કે તમને મોરબી શહેરને નીટ એન્ડ ક્લિન બનાવશો.'
ગૌ સેવા કર્યા વગર તેનુ દૂધ પીશો તો તે પચશે નહીંઃ રમેશ ઓઝા
ગૌવંશને રસ્તા પર રઝડતા છોડી દેનાર પશુપાલકોને ટકોર કરતા તેઓએ જણાવ્યું કે, 'નગર-નગરના રસ્તા-રસ્તા ગૌશાળા બની ગયા છે. હાઈકોર્ટે પણ સરકારને પગલા ભરવા કહ્યું છે. માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે તમે દૂધ પીવાનું બંધ કરો, ગૌ સેવા કર્યા વગર તેનું દૂધ પીશો તો તે પચશે નહીં.'
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર ઠાલવ્યો હતો ઉકળાટ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ આ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી કથાકાર રમેશ ઓઝાએ દેવાધિદેવ મહાદેવ પર વિવાદિત નિવેદન આપનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે આક્રોશ ઠાલવ્યો હતો. રમેશ ઓઝાએ તુલસીદાસે કરેલી પ્રબોધ વિશેની સમજણ વર્ણવી કહ્યું હતું કે, 'ભોળાનાથનો મહિમા ન સમજે એની બુદ્ધિ ઉપર તરસ ખાઓ, એમાં ક્રોધ પણ શું કરવો બિચાળા અને ભોળાનાથને પગે લગાવડાવે એને પ્રબોધ કેમ કહેવો?' તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 'મહાદેવથી મોટું કોઈ નથી, વ્યાસપીઠ કોઈના ઉપર રાગદ્વેષના કોગળા કરવા માટે નથી, વ્યાસપીઠ ઉપર બેસનારો ખૂબ વિવેકથી બોલે અને જે બોલવા જેવું હોય અને બોલવું જરૂરી હોય તે બોલે જ.'