શહેરના રામદેવનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ બનાવવાની કામગીરી છેલ્લા પાંચ મહિનાથી મંદગતિએ ચાલી રહી છે, જેના કારણે સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં કે વાહનચાલકોને વાહન લઇને જવામાં ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં રામદેવનગરથી રાજસૂર્યા બંગલોઝ સુધી આરસીસીના રોડનું સપ્ટેમ્બર-ર૦૧૯થી કામ શરૂ કરવામાં આવ્યું હતું અને હજુ એપ્રિલ મહિના સુધી લોકોને હાલાકી ભોગવી પડશે.
સપ્ટેમ્બર-૨૦૧૯થી ચાલી રહેલા આરસીસી રોડના કામથી સ્થાનિક રહીશો ત્રાહિમામ
રામદેવનગર ચાર રસ્તાથી રાજસૂર્યા બંગલોઝ સુધીના રોડનું કામ એપ્રિલમાં પૂરું થવાની શક્યતા
કોન્ટ્રાક્ટરના અણઘડ વહીવટના કારણે છેલ્લા કેટલાય દિવસથી રસ્તો બંધ
રામદેવનગર ચાર રસ્તા પર છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. અહીં એક તરફ રસ્તો ચાલુ હતો ત્યારબાદ અહીંયાં પાઇપ લાઇન તેમજ ઇલેક્ટ્રિકલ હાઇટેન્શન વાયર નાખવાના કારણે રસ્તો બંધ કરી દેવાયો હતો તેમજ વાયર અને પાઇપ લાઈન નાખવા માટે આખેઆખો રોડ ખોદી નાખ્યો હતો, જોકે અહીંયાં જોધપુર કુંજથી રાજસૂર્યા બંગલોઝ સુધીના રહીશો તેમજ દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
અહીં તંત્ર દ્વારા લાંબા સમય બાદ ધીમે ધીમે રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. થોડું કામ કરાયા બાદ તે બંધ થઇ જતું હતું અને પછી થોડા દિવસના અંતરાય પછી ફરી કામ શરૂ કરવામાં આવતું હતું. ભારે વિલંબ બાદ પાછું કામ બંધ થઈ ગયું. આ કામ પણ યોગ્ય રીતે ન થતું હોવાની ફરિયાદ રહીશો દ્વારા કરવામાં આવી છે.
સોસાયટીના આંતરિક રસ્તાનું કામ હજુ પણ અધૂરું છે અને રસ્તાે બંધ થઇ જતાં આસપાસના રહીશો પણ તેમનાં વાહન લઇ જઈ શકતા નથી, જેના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ રોડ બનાવવા અને ખોદકામ વહેલી તકે પૂર્ણ કરવા માટે વેપારીઓ તેમજ રહીશોએ માગણી કરી છે.
આ રોડને આરસીસીનો કરવાના પ્રોજેક્ટમાં પહેલાં ટોરેન્ટના કેબલ નડતરરૂપ બન્યા, ત્યારબાદ પાણીની પાઇપ બદલાઈ, બીએસએનએલના કેબલથી પણ કામ વિલંબમાં મુકાયું અને હવે રાજસૂર્યા બંગલાેઝવાળા ૧રપ મીટરના એક પટ્ટામાં એલાઇનમેન્ટનો પ્રશ્ન સર્જાયો છે.
આ તમામ ટેકિનકલ પાસાંને જોતાં ગત સપ્ટેમ્બર-ર૦૧૯થી શરૂ થયેલ આ પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો છે, જોકે જોધપુર વોર્ડના કોર્પોરેટર અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન રશ્મિકાંત શાહ કહે છે, આમ તો એલાઇનમેન્ટનાે પ્રશ્ન ધરાવતા રોડના અમુક ભાગ સિવાયનો રોડ આગામી હોળી-ધુળેટીમાં લોકોપયોગી થશે, પરંતુ પૂરેપૂરો મોટરેબલ રોડ આગામી તા.૧૦ એપ્રિલ સુધીમાં તૈયાર થઇ જશે.
આ વિસ્તારના દુકાનદાર ગૌરાંગ ધોળકિયાએ જણાવ્યું કે અમે ઘણી વાર કમ્પ્લેન નંબર પર ફરિયાદ કરી છે અને ઈજનેર વિભાગને પણ કહ્યું છે કે આ વિસ્તારના રસ્તાનું કામ પૂરું કરો, પરંતુ પાંચ મહિના થયા હોવા છતાં કામ પૂર્ણ કરવામાં આવતું નથી.
જોધપુર કુંજ પાસે રહેતા ચંદ્રેશભાઇ ગોસ્વામીએ જણાવ્યું કે રસ્તા બનાવવામાં પણ ગોબાચારી કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટરે આ વિસ્તારના રોડ પર રામદેવનગર પાસે જ ખાડો ખોદી નાખ્યો છે, જેના કારણે રાતના સમયે વાહનચાલકો અહીં પસાર થતી વખતે પડી જાય છે. રસ્તા વિશે રજૂઆત કરી છતાં પણ તંત્ર દ્વારા કોઇ ધ્યાન અપાતું નથી.
દુકાનદાર જગદીશભાઈ મારવાડી કહે છે, અહીંયાં પહેલાં રાજસૂર્યા બંગલોઝથી કામ શરૂ કર્યું હતું અને એક તરફનો રસ્તો ચાલુ હતો ત્યારે હાલાકી પડતી ન હતી, પરંતુ હમણાં તો આખો રસ્તો બંધ કરી દેવાતાં બાળકો-વૃદ્ધો તેમજ વાહનચાલકો અહીંથી પસાર થતી વખતે ભારે ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.