દૂરદર્શન પર જ્યારથી રામાયણ ફરી પ્રસારિત કરવામાં આવ્યું છે, ત્યારથી લઈને આ શો અને શોના કલાકારો ચર્ચામાં છે. આજના સમયમાં પણ રામાયણ જેવા ધાર્મિક શોને જબરદસ્ત સફળતા અને વ્યૂઅરશિપ મળી છે. જ્યારે આ શોમાં સાતીની ભૂમિકા ભજવનાર દિપીકા ચિખલિયાએ પોતાનું દર્દ જણાવતા કહ્યું કે, રામાયણ માટે યોગ્ય ફી ન મળવાની સાથે કોઈ સન્માન ન મળવાથી તે નાખુશ છે.
રામાયણ અને તેના કલાકારોને લઈને ચર્ચાઓ રોકાવાનું નામ જ નથી લેતી
રામાયણના પ્રસારણ બાદ દુનિયામાં સૌથી વધુ જોનાર શો બની ગયો. ત્યારે હવે આ શોની સીતા માતા એટલે કે દિપીકાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાનું દર્દ જણાવ્યું હતું. હકીકતમાં, હાલમાં જ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે 'રામાયણ'ના સર્જક રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે' નવી પેઢી માટે રામાયણ એક વરદાન સાબિત થયું છે. દીપિકાએ આ જ મામલે વાત કરી છે.
દીપિકાનું કહેવું છે કે, દર્શકોનો તો ભરપૂર પ્રેમ મળ્યો પરંતુ સરકાર તરફથી ખાસ કોઈ પ્રતિક્રિયા જોવા મળી નથી. કોઈ નેશનલ એવોર્ડ કે પદ્મ સન્માન પણ મળ્યું નથી. એ જમાનામાં રામાયણમાં કામ કરવાની ફી પણ એટલી ઓછી હતી કે, બતાવવામાં પણ શરમ આવે છે. દિપીકાનું માનવું છે કે, રામાયણને આજે પણ દર્શકોનો આટલો પ્રેમ એટલે જ મળી રહ્યો છે કારણ કે એ સમયે શોના દરેક કલાકારે તનતોડ મહેનત કરી હતી.
દિપીકાએ આગળ કહ્યું- અમે પૈસા માટે ક્યારેય એવું કંઈ કામ નથી કર્યું કે જેના કારણે દર્શકો ઈમોશનલી હર્ટ થાય. અમે એવોર્ડ માંગી નથી રહ્યાં પરંતુ પોઈન્ટ આઉટ કરી રહ્યાં છે. હવે મોદી સરકારે જે રીતે એકવાર ફરી દુનિયાની સામે રામાયણ લાવવાનું કામ કર્યું છે. તો જો મોદીજીને લાગે કે શોની ટીમે કલ્ચર અને લિટ્રેચરમાં કઈ કામ કર્યું છે તો તેમણે અમને પદ્મ સન્માનોથી સન્માનિત કરવા વિશે વિચારવું જોઈએ.