અયોધ્યા રામ મંદિર પર સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદથી દેશભરમાં રામભક્તો આતુરતાથી મંદિર નિર્માણ શરુ થાય તેની રાહ જોઈ રહ્યા છે. એવામાં અયોધ્યામાં આવતીકાલે એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે જેમાં મંદિર નિર્માણ શરુ થવાની તારીખ નક્કી કરી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટમાં જ મંદિર નિર્માણ શરુ કરી શકાય છે જેમાં વડાપ્રધાન મોદી, યોગી આદિત્યનાથ અને સંઘ પ્રમુખ ભાગવત ઉપસ્થિત રહેશે.
આવતીકાલે બેઠકમાં નક્કી થશે તારીખ
વડાપ્રધાન મોદીને મોકલવામાં આવ્યું છે આમંત્રણ
ભૂમિપૂજનમાં સામેલ થવા સંતોની પીએમને અપીલ
અયોધ્યામાં રામમંદિર નિર્માણ કાર્ય શરુ થવાની સંભાવના છે. રામ મંદિર નિર્માણ માટે શનિવારે અયોધ્યામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના સદસ્યોએ પુષ્ટિ કરી છે કે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને કાલે બેઠકમાં મંદિર નિર્માણ શરુ કરવાની તારીખ નક્કી કરવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા આ બેઠકમાં હાજરી અપાશે. સૂત્રોનું માનવું છે કે નૃપેન્દ્ર મિશ્રા આ બેઠકમાં તે તારીખનું એલાન કરશે જે વડાપ્રધાન મોદી દ્વારા અપ્રૂવ કરવામાં આવી હોય. મંદિર નિર્માણની શરૂઆત કરાવવાના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રમુખ મોહન ભાગવત પણ ઉપસ્થિત રહેશે.
બેઠકમાં કાલે તારીખ નક્કી કરવામાં આવશે પરંતુ સૂત્રો અનુસાર ઓગસ્ટ મહિનામાં જ મંદિર નિર્માણ શરુ કરી દેવામાં આવશે. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે દેશના દિગ્ગજ મંત્રીઓ અને અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવશે. પરંતુ કોરોના વાયરસના કારણે હવે તે સંભવ નથી. હવે આ પરિસ્થતિને જોતા વડાપ્રધાન મોદી, આરએસએસ પ્રમુખ ભાગવત અને યુપી સીએમની સાથે અમુક મંત્રીઓની હાજરીમાં મંદિર નિર્માણ શરુ કરવામાં આવે તેવી સંભાવના છે.
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના કાર્યલય તરફથી તેમની અયોધ્યા મુલાકાતની કોઈ પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી, બીજી તરફ અયોધ્યાનાં સંત અને ટ્રસ્ટના સદસ્યો સતત વડાપ્રધાન મોદીને આવવા માટે અપીલ કરી રહ્યા છે. હાલમાં મહંત કમલ નયન દાસે પીએમ મોદીને ભૂમિપૂજનમાં સામેલ થવા માટે અનુરોધ કર્યો હતો. આટલું જ નહીં સંતો વર્ચ્યુલની જગ્યાએ પીએમ પોતે ત્યાં ઉપસ્થિત રહે તેની માંગ કરી રહ્યા છે.