આગામી 5મી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. ત્યારે હવે ગુજરાતના કેટલાક સંતો રામ મંદિર શિલાન્યાસની ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે. મહત્વનું છે કે, અગાઉ 5 સંતોને આમંત્રણ અપાયું હતું ત્યારે હવે વધુ ગુજરાતના આ સંતને આમંત્રણ અપાયું છે. તો મોરારિબાપુને આમંત્રણ ના મળતા તેમના શ્રોતાઓમાં નારાજગી વ્યાપી છે.
5 ઓગસ્ટે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન
ગુજરાતના કેટલાક સંતોને આમંત્રણ
મોરારિબાપુના શ્રોતાઓ થયા નારાજ
દેશને જે દિવસની વર્ષોથી રાહ હતી તે અવસર 5 ઓગસ્ટે ભવ્યથી ભવ્ય ઐતિહાસિક રામ મંદિરનો શિલાન્યાસ યોજાઇ રહ્યો છે. આ અવસરે રાજકોટના હિન્દુ આચાર્ય સભાના વડા સ્વામી શ્રી પરમાત્માનંદજી મહારાજ, અમદાવાદના મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી મહારાજ અને SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ પરમ પૂજય સદ્દગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, જામનગરના પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ, સતકેવલ સંપ્રદાય સારસાના અવિચલદાસજી મહારાજ અને BAPSના વડા મહંત સ્વામીને રામ મંદિરના ટ્રસ્ટી દ્વારા વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અવસરે ગુજરાતના પૂર્વ સાંસદ અને ઝાંઝરકના ગાદીપતિ શુંભુપ્રસાદ ટુંડિયાને પણ આમંત્રણ અપાયું છે. ત્યારે હવે ગુજરાતના વધુ એક સંત વડતાલ સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીને ભૂમિ પૂજનમાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે.
મોરારિબાપુને આમંત્રણ ના મળતા નારાજગી હોવાનો ગણગણાટ
તો બીજી તરફ આ અયોધ્યામાં રામમંદિર મોરારિબાપુને આમંત્રણ ના મળતા શ્રોતાઓમાં નારાજગી વ્યાપી છે. મોરારિબાપુએ દેશ વિદેશમાં કરેલી કથાઓનું કરોડોનું દાન આપ્યુ હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે.
મહત્વનું છે કે, 5 ઓગસ્ટે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન થશે. જેમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે. પીએમ મોદી સાથે 4 મહેમાનોને પણ મંચ પર સ્થાન મળશે. યુપીના સીએમ યોગી, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસ સુપ્રીમો મોહન ભાગવતને મંચ પર સ્થાન મળશે. આ ઉપરાંત રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસને પણ મંચ પર સ્થાન મળશે. કાર્યક્રમમાં 200 મહેમાનોને આમંત્રણ અપાયું છે. કાર્યક્રમમાં ગૃહમંત્રાલયની ગાઇડલાઇનનું પાલન કરાશે અને લોકોને એકઠા નહીં થવા દેવામાં આવે. મળતી માહિતી મુજબ ભૂમિપૂજન કાર્યક્રમમાં કોઇ કેન્દ્રિય મંત્રીને આમંત્રણ નહીં આપવામાં આવે. આ ઉપરાંત કોઇ પણ રાજ્યના CMને આમંત્રણ નહીં આપવામાં આવે.