ગુજરાતનાં તમામ પંચાગ અને કેલેન્ડરમાં ૧૪ એપ્રિલ અને રવિવારે રામ નવમીનો તહેવાર આવતો હોવાનું દર્શાવાયું છે, પરંતુ શ્રદ્ધાળુઓ આજે અને આવતી કાલે બંને દિવસ રામનવમી ઊજવી રહ્યા છે. ચૈત્રી નવરાત્રિ અંતર્ગત મહત્ત્વનો દિવસ એટલે દુર્ગાષ્ટમી આજે ઊજવાઈ રહી છે.
આજે નગરદેવી ભદ્રકાળી માતાનાં મંદિર ખાતે પરંપરાગત હવન રાત્રે ૧૨ વાગ્યે થશે. જેની પૂર્ણાહુતિ રવિવારે સવારે સૂર્યોદય પૂર્વે થશે. આજે રામ નવમીનું વ્રત કરનારા શ્રદ્ધાળુઓ રામ નવમીની ઉજવણી કરશે. જ્યારે હરેકૃષ્ણ મંદિર સહિત રામજી મંદિર કે અન્ય મંદિરમાં રામ નવમીએ આવતી કાલે ઊજવાશે.
આ અંગે પુરોહિત નરેશ દવેએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ૧૩ એપ્રિલ શનિવારે આઠમ ૧૧.૪૨ સુધીની છે ત્યાર બાદ બપોરથી નોમ શરૂ થાય છે. ૧૪ એપ્રિલ રવિવાર નવમી તિથિ સવારે ૯.૩૬ સુધી જ હોઈને રામ નવમીનું વ્રત આજે કરવું જોઈએ. જો યોગ ન હોય તો અષ્ટમી પર નવની આવતી રવિ અને તે મધ્યાહ વ્યાપિની હોય તો અષ્ટમી યુક્ત નવમીએ એટલે કે આજે રામ નવમીનું વ્રત કરી શકાય.
ચૈત્ર માસની શુકલ પક્ષની નવમી તિથિ પુનર્વસુ નક્ષત્રમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો તેથી ચૈત્ર માસની નવમી તિથિએ પુનર્વસુ નક્ષત્ર હોય ત્યારે રામ નવમીનું વ્રત કરાય, પરંતુ દર વર્ષે તિથિ અને નક્ષત્ર સાથે હોય તેવું બનતું નથી. તેવા સંજોગોમાં નવમી તિથિએ વ્રત કરવાનું થાય. આજે મધ્યાહ્ન પછી નોમ શરૂ થતી હોઈને ભક્તો વ્રતની નોમ આજે કરી રહ્યા છે. રામભક્ત હનુમાનજીનો વાર આજે શનિવારે હોઈ મંદિરોમાં કાલે અને ભક્તો આજે રામ નવમીની ઉજવણી કરી રહ્યા છે.