અમદાવાદમાં આવેલું છે 600 વર્ષ જૂનું રામજી મંદિર. જાણો આ મંદિરની વિશેષતા, જેને હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આજે રામનવમી છે. આજે ખૂબ જ ધામધૂમથી ભગવાન રામનો જન્મોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. આજના આ ખાસ અવસરે જાણો ઐતિહાસિક રામ મંદિરની વિશેષતા વિશે.
600 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતું રામજી મંદિર
અમદાવાદમાં 600 વર્ષ જૂનું રામજી મંદિર આવેલું છે. આ ઐતિહાસિક રામજી મંદિરની વિશેષતાઓને કારણે તેને હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં રિલીફ રોડ પર હાજા પટેલની પોળમાં આ 600 વર્ષ જૂનું ઐતિહાસિક રામજી મંદિર આવેલું છે. આ મંદિર પેશ્વાઇ સમયથી હોવાનું માનવામાં આવે છે.
શું છે મંદિરની ખાસ વિશેષતા?
આ મંદિરની વિશેષતાની વાત કરવામાં આવે તો આ મંદિરમાં પ્રભુ રામની કાળી મુર્તિ છે. જેથી આ મંદિર શ્યામ રામજી તથા કાળા રામના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં પ્રભુ રામ પદ્માસન મુદ્રામાં બિરાજમાન થયેલ છે. 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ ચિત્રકુટ ગયા હતા તે સમયે પ્રભુ રામ ત્રિકાળ સંધ્યા કરતાં મુદ્રા અહીં જોવા મળે છે. આ મંદિરમાં પ્રવેશ કરવા માટે તમારે સૌથી પહેલા ઘરમાંથી પસાર થવું પડશે, ત્યારબાદ તમે મંદિરમાં પ્રવેશ કરી શકશો. જ્યાં તમને પ્રભુ રામ, ભાઈ લક્ષ્મણ અને માતા સીતા બિરાજમાન થયેલ જોવા મળશે. ભાઈ લક્ષ્મણ ધનુષબાણ સાથે ઉભેલી મુદ્રામાં અને માતા સીતાની પ્રતિમા શ્વેતવર્ણી છે.
જે પત્થરમાંથી પ્રભુ રામની મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેને કસોટી પત્થર પણ કહેવામાં આવે છે. ઝવેરીઓ આ જ પત્થરથી સોનાની પરખ કરતા હોય છે. શ્રદ્ધાળુઓમાં આ મંદિર પ્રત્યે ખૂબ જ આસ્થા રહેલી છે.
પ્રભુ રામની સેવા
આ ઐતિહાસિક મંદિરમાં વૈષ્ણવ પરંપરા અનુસાર પ્રભુ રામની સેવા કરવામાં આવે છે. પ્રભુ રામને રમવા માટે ચોપાટ પણ મુકવામાં આવી છે. નિત્યક્રમ અનુસાર પ્રભુની પાંચ વાર આરતી અને ભોગ ધરવામાં આવે છે.