અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 30 મેના રોજ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે, રોહિણી નક્ષત્રની અસરને કારણે હજી પણ જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ આવશે.
બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ભારે વાવાઝોડા સાથે અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતો દુકાનદાર અને મકાન માલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ગત રાત્રે 28 તા. મોડી સાંજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાં ભારે વાવાઝોડા સાથે પવન ફૂંકાયો હતો સતત બે કલાક સુધી ભારે પવન ફૂંકાતા તેની સીધી અસર ખેડૂતો અને લોકોના જનજીવન પર પડી હતી. ખાસ કરીને મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા અનેક તાલુકાઓમાં લોકોના ઘરોના પતરા અને દુકાનોના પતરા ઉડી જતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.હવામાન વિભાગની આગાહીને લઈને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.ગાંધીધામ-આદિપુર, અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ધાણેટી ગામે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી શકયતા સેવાઇ રહી છે. વધુમાં કંડરાઇ ગામે ભારે પવન સાથે વરસાદ શરુ થયો હતો. વધુમાં વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હતા. તથા ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ઉપરાંત કંડલા પોર્ટ પર ભારે પવન સાથે વરસાદ પવનથી ભારે ભરખમ કન્ટેનર ક્રેન પણ સલામત સ્થળે ખસેડાઈ હતી.રાજકોટના ગોંડલ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. કોલીથડ, પાટીયાળી, ભોજપરા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 30 મેના રોજ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. રોહિણી નક્ષત્રની અસરને કારણે હજી પણ જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ આવશે. 4 જૂન સુધી વરસાદ ઘણા ભાગોમાં થશે. 3, 4, 5 જૂન અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થશે. હવાનું હળવું દવાબ ચક્રાવાતમાં ફેરવાઈ શકે છે. ચક્રાવાત સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે તો દરિયા કિનારે ભારે વરસાદની શક્યાતા છે.
રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, સાંસદસભ્ય રામ મોકરીયાની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થતાં રાજકીય ચર્ચા વધી છે. ફેસબુક પર રામ મોકરીયાએ પોસ્ટ કરતા રાજકીય ચર્ચા તેજ બની છે. રામ મોકરીયા પોસ્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી.સાંસદ રામ મોકરીયાએ લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી તેમજ એ નેતાની નિયત ખરાબ હોવાથી મારા પૈસા આપ્યા નથી તેમણે કહ્યું કે, એ નેતા 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે તેમજ 1980થી આ નેતા રાજકારણમાં સક્રિય છે તેમણે વધુમાં લખ્યું છે કે, નેતા ગુજરાત બહાર હતા ત્યારે રિટાયર્ડ થયા હતા. અત્રે તમને જણાવી દઈએ કે, સાંસદ રામ મોકરીયાની પોસ્ટ સૌરાષ્ટ્રના નેતા પર હોવાની શંકા સેવાઈ રહી છે.
રાજ્ય પોલીસ દળમાં વધુ એક વખત બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં રાજ્ય પોલીસ આલમમાં સેવા બજાવતા બીન હથિયારી વધુ 127 પીએસઆઇનિબબદલીના ઉચ્ચકક્ષાએથી આદેશ છુટ્યા છે. ગૃહ વિભાગ દ્વારા તમામ પીએસઆઇને બદલી ની જગ્યાએ તાત્કાલિકા હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.જામનગરના પીએસઆઇ એમ. પી. ચાવડા તથા દ્વારકાના રોશનબેન નૉઇડાની બદલી કરાઈ છેમ જ્યારે રાજકોટના ભદ્રરાજસિંહ ઝાલા, સુરેન્દ્રનગરના કૃષ્ણસિંહ જાડેજા તથા બાર રોહન હમીરભાઈને જામનગરમાં ફરજ સોંપાઈ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 29, 2023
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તોફાની પવન સાથે મેઘકહેર ત્રાટકતા ઉપાધિના ઘોડાપૂર ઉમટયા છે. અનેક શહેરોમાં વીજળી પડવાના ઉપરાંત તોફાની પવનોને લઈને વૃક્ષ પડવા સહિતની ખાના ખરાબી સર્જાઇ હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.ગઢડાના ધ્રુફણીયા ગામે વીજળી જીવલેણ નીવડી હતી. જેમાં વીજળી પડતાં છ વર્ષની દિવ્યા રાઠવા નામની બાળકીનું મોત થયું હતું. મહત્વનું છે જે વરસાદી વાતાવરણ વચ્ચે બાળકી વાડીમાં હિચકા ખાતી હતી તે દરમ્યાન વિજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક બાળકીની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડાઈ છે. તો અમરેલીના બાબરાના સુકવાણા ગામમાં પણ વીજળી પડયાંનો કિસ્સો નોંધાયો છે. જેમાં 23 વર્ષીય ખેડૂત ભાવેશભાઈ ભદોરીયાનું મોત થયુ છે. મકાનના રીપેરીંગ કરતા સમયે વીજળી પડતા ખેડૂતનું મૃત્યુ અને અન્ય એક કારીગર પણ ઈજાગ્રસ્ત થયો હતો.
અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વરસાદના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજનો દિવ્ય દરબાર રદ કરાયો હતો, દિવ્ય દરબારના સ્થળે પાણી ભરાતા કાર્યક્રમ રદ કરાયો હતો. જે બાદ કાર્યક્રમ સ્થળ બદલી ઓગણજની જગ્યા વટવામાં દિવ્ય દરબાર યોજાશે અને વટવા ખાતે શ્રીરામ મેદાનમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે.ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદના વટવામાં દિવ્ય દરબાર યોજાશે, આજે સાંજે 5:00 થી 7:00 કલાકે દરમિયાન દિવ્ય દરબાર યોજાશે. બાગેશ્વર સરકાર તરીકે ઓળખાતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા છે. ત્યારે ગઈકાલે વરસાદ વેરી બનતા અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નોબત આવી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 29, 2023
આપણે ત્યાં લોકો કહેતા હોય છે કે, દિલ્હી એટલે કે દિલવાળી દિલ્હી. પણ આપણા દેશની રાજધાની દિલ્હીથી એક ચોંકાવનારા અને હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની સાક્ષી નામની દીકરીની સાહિલ નામના ઇસમે ઘાતકી હત્યા કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ સાહિલે છરીના ઉપરાછાપરી ઘા માર્યા બાદ પણ જાણે તેનો જીવ ના ભરાયો હોય તેમ દીકરી પર પથ્થર વડે પણ હુમલો કર્યા બાદ તેનું મોત થયું છે. આ તરફ હવે સાક્ષીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે. જેમાં સાહિલે 16 વાર સાક્ષી પર છરીના ઘા માર્યા હોવાનું ખૂલ્યું છે. દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (ઉ.વ.20)ની ધરપકડ કરવામાં આવી છે. સાહિલે રવિવારે સાંજે શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની સાક્ષીની ઘાતકી હત્યા કરી હતી. સાહિલે સાક્ષીને 16 થી વધુ વાર છરીના ઘા માર્યા અને માથા પર 6 વખત પથ્થર વડે હુમલો કર્યો હતી. આ ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બંને રિલેશનશિપમાં હતા, પરંતુ શનિવારે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
કાળા નાણાં સાથે ફરાર ગુંડાઓ અને આતંકવાદીઓ દ્વારા હસ્તગત જંગમ અને જંગમ મિલકતો જપ્ત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે સુરક્ષા એજન્સીઓ આવા ફરાર કુખ્યાત ગુંડાઓ અને આતંકવાદીઓની યાદી તૈયાર કરવામાં અને તેમની કાળી કમાણીનો હિસાબ તૈયાર કરવામાં વ્યસ્ત છે. ખાસ વાત એ છે કે એજન્સીઓના રડાર પર એવા 100થી વધુ ગેંગસ્ટર છે જેમણે દિલ્હી-એનસીઆરથી લઈને પંજાબ સુધી પોતાનું નેટવર્ક બનાવ્યું છે. તપાસ એજન્સીઓના નિશાના પર ખાસ કરીને દિલ્હી-એનસીઆરના 25 ગુંડાઓ અને આતંકવાદીઓ છે. આ માટે, પોલીસ દિલ્હી-એનસીઆરમાં સંગઠિત ગુનાખોરીની રેખાઓ પર ચાંપતી નજર રાખી રહી છે, ખંડણીથી લઈને હથિયારોની દાણચોરી અને નવા ગોરખધંધા બનાવવા સુધી.તમામ પર નજર રાખવામાં આવી રહી છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ કરી રહી છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપ દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવશે. આ જનસંપર્ક અભિયાનનું સૂત્ર ‘નવ સાલ... બેમિસાલ’ રાખવામાં આવ્યું છે. પીએમ મોદી ૩૦ મેના રોજ વિશાળ રેલી સાથે ભાજપના મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરશે. 31 મેના રોજ પણ પીએમ મોદીની વિશાળ રેલી યોજાશે. આ રેલીનું આયોજન મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા સહિત કોઈ એક સ્થળે કરાવાની શક્યતા છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવા પર દરેક લોકસભા મતવિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન 30 મેથી 30 જૂન સુધી ચાલશે.તમામ જિલ્લા મથકોથી બૂથ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મોદી સરકારની નીતિઓ અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે. દેશભરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની 51 રેલીઓ થશે. 396 લોકસભા બેઠકો પર જાહેર સભાઓ યોજાશે, જેમાં કેન્દ્રીય પ્રધાન અથવા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારી ઉપસ્થિત રહેશે, જેઓ આ રેલી અને જાહેર સભાઓમાં ભાગ લેશે. દેશભરના એક લાખ વિશેષ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. આમ, દરેક લોકસભામાં 250 પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. આ અભિયાનમાં રાજ્યની પ્રભાવશાળી વ્યક્તિઓ, જેમ કે રમતવીર, કલાકાર, ઉદ્યોગપતિ, શહીદ અને અન્ય જાણીતા પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. આજે દેશભરમાં એકસાથે પ્રેસ કોન્ફરન્સ યોજાશે.
Chandrayaan-3ના લોન્ચિંગને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વડા એસ સોમનાથે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 આ વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અંતરિક્ષ ક્ષેત્રે આ ભારતની બીજી મોટી સફળતા હશે. મહત્વનું છે કે, ISROના વૈજ્ઞાનિકોએ આજે (29 મેના રોજ) જીઓસ્ટેશનરી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) દ્વારા નેવિગેશન સેટેલાઇટ NVS-01 લોન્ચ કર્યો છે. NVS-01 દેશની પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમને મજબૂત કરશે અને સચોટ અને રીઅલ-ટાઇમ નેવિગેશન સેવાઓ પ્રદાન કરશે. 51.7-મીટર ઊંચું ત્રણ તબક્કાનું GSLV રોકેટ 27.5-કલાકની ગણતરીના અંતે ચેન્નાઈથી લગભગ 130 કિમી દૂર શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી ઉપડ્યું હતું. તે સ્વચ્છ આકાશમાં સવારે 10.42 વાગ્યે પૂર્વનિર્ધારિત સમયે તેના લક્ષ્ય માટે રવાના થયું હતું.
રાજસ્થાન કોંગ્રેસમાં ચાલતા ખટરાગ અને અંદરો અંદરની ટાંટીયાખેચ તથા મધ્યપ્રદેશની ચૂંટણીની રણનીતિ ઘડી કાઢવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ્થાન દિલ્હી ખાતે હાઈકમાન્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ હોવાનું સામે આવતા કોંગ્રેસ દ્વારા આંતરિક ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે દિલ્હીમાં અશોક ગહેલોત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના ઉચ્ચ આગેવાનોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સચિન પાયલોટ પણ સહભાગી થયા હતા. ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સચિન પાયલોટ અને સીએમ અશોક ગહેલોત વચ્ચે સમાધાન કરી ઘીના ઠામમાં ઘી પાડી દેવામાં આવ્યું છે. લાંબી સમજાવટ બાદ હવે રાજસ્થાનમા સચિન પાયલોટ અને સીએમ અશોક ગહેલોતના વડપણ હેઠળ ચૂંટણી લડવામાં આવશે. બેઠક બાદ જ્યારે પાર્ટીના નેતાઓને સવાલ કરવામા આવ્યો કે કોના વડપણ હેઠળ ચૂંટણી લડવામાં આવશે? ત્યારે વેણુગોપાલ સહિતના નેતાઓએ બન્ને નેતાના નામ તરફ ઈશારો કર્યો હતો. એવું પણ જાણવા મળી રહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ બેઠક બાદ રાજસ્થાનમાં સચિનના મુદ્દે લાંબી ચર્ચા કરી હતી.