અયોધ્યાથી પહેલાં પશ્ચિમ બંગાળમાં રામમંદિર બનાવવાની જાહેરાત થતાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે. આંતરરાષ્ટ્રીય રામમંદિર ટ્રસ્ટે હાવરામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવાનું એલાન કર્યું છે. ૧પ સપ્ટેમ્બરે હાવરામાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રામમંદિરનો શિલાન્યાસ કરશે. આ માટે અત્યારથી જ ભવ્યાતિભવ્ય શિલાન્યાસ સમારોહની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) આમનેસામને છે. લોકસભા ચૂંટણી દરમિયાન ભારે હિંસા અને બંને પક્ષના કાર્યકરોની હત્યાની ઘટનાઓ બાદ સમગ્ર દેશની નજર હવે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી પર છે. ભાજપ અને ટીએમસી બંગાળનો ગઢ કબજે કરવા માટે અત્યારથી જ પૂરું જોર લગાવી રહ્યાં છે.
ભાજપે ચૂંટણી પહેલાં જ રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે. બીજી તરફ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ એક દિવસ પહેલાં જ કોલકાતાની હેયર સ્કૂલમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ૧૯મી સદીના સમાજસુધારક વિદ્યાસાગરની એક અન્ય પ્રતિમાને ર૮ દિવસ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ-શો દરમિયાન તોડી નાખવામાં આવી હતી.
કાંસ્યની બનેલી આ પ્રતિમાને કોલેજ સ્ટ્રીટમાં આવેલી વિદ્યાસાગર કોલેજ ખાતે લઈ જવામાં આવશે, જ્યાં ૧૪ મેના રોજ પ્રતિમા તોડવાની ઘટના બની હતી. વિવાદ દરમિયાન મમતા બેનરજીએ વાયદો કર્યો હતો કે બંગાળ સરકાર બહુ જલદી નવી પ્રતિમાની સ્થાપના કરાવશે. રાજ્ય શિક્ષણ પ્રધાન પાર્થ ચેટરજીએ જણાવ્યું કે અર્ધપ્રતિમાને એ જગ્યા પર જ સ્થાપિત કરવામાં આવશે, જ્યાં પહેલાં જૂની પ્રતિમા હતી.
ટીએમસી ભાજપના રામમંદિર નિર્માણના ટ્રમ્પ કાર્ડનો વિરોધ કરે તેવી પ્રબળ શક્યતા છે. મમતા બેનરજી અને તેમનો પક્ષ અગાઉ પણ રામમંદિરનો વિરોધ કરી ચૂક્યાં છે. આ અગાઉ યુપીના સીએમ યોગી આદિત્યનાથે ૭ જૂનના રોજ અયોધ્યામાં કોદંડ ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. યોગી સરકાર પહેલાં અયોધ્યામાં ભગવાન રામની રર૧ મીટર ઊંચી કાંસ્યની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી ચૂકી છે અને આ પ્રોજેક્ટનું કામ પણ શરૂ કરી દેવાયું છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પૂરી થવા સાથે જ રામમંદિર નિર્માણનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. બે દિવસ પહેલાં જ દેશભરના સાધુ-સંતોએ રામમંદિર નિર્માણ અંગે એક બેઠક યોજી હતી, જેમાં વીએચપી સહિત અનેક સંગઠનોએ ભાગ લીધો હતો. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના પક્ષના તમામ ૧૮ નવા ચૂંટાયેલા સાંસદ સાથે અયોધ્યા જઈને રામલલ્લાનાં દર્શન કરવાના છે.
પશ્ચિમ બંગાળમાં આજે ભાજપ કોલકાતાના લાલ બાઝાર ખાતે એક રેલી કાઢશે. ભાજપના કાર્યકરોની હત્યાના વિરોધમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થશે અને તેઓ લાલ બાઝાર ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરનો ઘેરાવ કરશે. વહેલી સવારથી જ ભાજપના કાર્યકરો લાલ બાઝાર ખાતે ઊમટી રહ્યા છે ત્યારે પોલીસે સુરક્ષાનાે સઘન બંદોબસ્ત ગોઠવી દીધાે છે. ભાજપના કાર્યકરો જે રૂટ પર રેલી કાઢવાના છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તહેનાત કરી દેવામાં આવ્યા છે. ભાજપ આજે કોલકાતા ઉપરાંત હાવરા અને સિયાલદહમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.